ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક અને વિપક્ષના સભ્યોએ એમના મંતવ્યો રજૂ કર્યા હતાં. કોંગ્રેસે બિલનો વિરોધ કરી આ બિલ પ્રવર સમિતિમાં રજૂ કરી વધુ અભ્યાસ બાદ આવતા સત્રમાં રજૂ કરવા માગણી કરી હતી. બિલના પગલે વિધાનસભા ગૃહ રાત્રિના 11 વાગ્યા સુધી ચાલ્યું હતું.
આ પૂર્વે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભામાં ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026’ (યુસીસી) વિધેયક રજૂ કર્યું હતું. વિધેયક રજૂ થતાં જ ભાજપના ધારાસભ્યોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. બીલ પર ચર્ચા માટે 6 કલાકનો સમય ફાળવવામાં આવ્યો હતો.’ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026′ તરીકે ઓળખાતા આ બિલ પર આજે ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બિલને સર્વગ્રાહી ચર્ચા માટે ગૃહ સમક્ષ મૂકવામાં આવ્યું હતું. ગૃહમાં આ બિલ પર ચર્ચા દરમિયાન હલાલા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.
ભાગ 1 અને ભાગ 2 માં કુલ 7 પ્રકરણમાં વિસ્તૃત માહિતી
આ બિલ કુલ 4 ભાગમાં તૈયાર કરાયું છે, જેમાં ભાગ 1 અને ભાગ 2 માં કુલ 7 પ્રકરણમાં વિસ્તૃત માહિતી અને નિયમો દર્શાવાયા છે. આ બિલ વિધાનસભામાં પસાર થયા બાદ કાયદો બનશે અને બાદમાં ગુજરાતના તમામ નાગરીકોને આ કાયદો અનુસરવાનો રહેશે. આ સાથે જ યુસીસી બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બન્યું છે. આ મહત્ત્વકાક્ષી બિલને પસાર કરાવવા માટે શાસક પક્ષ ભાજપ દ્વારા તમામ ધારાસભ્યોને વ્હીપ જાહેર કરીને હાજર રહેવા આદેશ અપાયો હતો.
ગુજરાત માટે આજે ઐતિહાસિક દિવસ
ગુજરાત સમાન નાગરિક સંહિતા (યુસીસી) બિલ અંગે નાયબ મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત માટે આજે ઐતિહાસિક દિવસ છે. જે રાજ્યમાં સોનેરી દિવસ તરીકે યાદ રાખવામાં આવશે. દેશને આઝાદી મળ્યા પછી પણ વ્યક્તિગત કાયદાઓ સમાજ અને ધર્મના આધારે અલગ-અલગ રહ્યા હતા, જેના કારણે સૌથી વધુ નુકસાન બહેનો અને દીકરીઓને સહન કરવું પડ્યું હતું. હવે યુસીસી દ્વારા લગ્ન, વારસાગત અને અન્ય નાગરિક મુદ્દાઓમાં બધા માટે સમાન નિયમો લાગુ થશે. તેમણે ઉમેર્યું કે, મહિલાઓ આ દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી અને આજે તેઓ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવી રહી છે.
યુસીસી કોઈ એક ધર્મ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે સમાન ન્યાય આપતું કાયદારૂપ છે. વડાપ્રધાનના વિઝન મુજબ યુસીસી અમલમાં મૂકનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ પક્ષોના ધારાસભ્યો પોતાના વિસ્તારની મહિલાઓના હિત અને અધિકારોને ધ્યાનમાં રાખીને આ બિલને સમર્થન આપશે.
રાજ્યની બહાર રહેતા ગુજરાતના મૂળ રહેવાસીઓને પણ લાગુ પડશે
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપ જેવા વિષયોમાં એકસમાન કાયદો લાવવાનો છે. લગ્ન અને છૂટાછેડાની નોંધણી હવે ફરજિયાત બનશે. લિવ-ઇન પાર્ટનર્સે રજિસ્ટ્રાર પાસે નિવેદન સબમિટ કરવું પડશે. આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવશે અને તેમને તમામ કાયદાકીય સુરક્ષા મળશે. આ કાયદો ગુજરાતમાં રહેતા તમામ લોકો ઉપરાંત રાજ્યની બહાર રહેતા ગુજરાતના મૂળ રહેવાસીઓને પણ લાગુ પડશે.
આ સમિતિએ લાખો લોકોના સૂચનો અને કાયદાકીય પાસાઓનો અભ્યાસ કર્યો
ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ લાખો લોકોના સૂચનો અને કાયદાકીય પાસાઓનો અભ્યાસ કરીને પોતાનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો હતો, જેના આધારે આ બિલ તૈયાર કરાયું હતું.


