ગાંધીનગર : ગુજરાતમાં તબીબી સંસ્થાઓના રજિસ્ટ્રેશન અને નિયમન પ્રક્રિયાને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક-2026’ વિધાનસભા ગૃહમાં વિના વિરોધે પસાર કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત વિધાનસભામાં ‘ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક 2026’ સર્વાનુમતે પસાર કરાયું છે. રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત તમામ નાની-મોટી હોસ્પિટલોએ આગામી 12 સપ્ટેમ્બર 2026 સુધીમાં સરકારી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. આ પ્રક્રિયામાં તબીબોએ પોતાના શૈક્ષણિક દસ્તાવેજો અને ક્લિનિકના ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના રહેશે, જેથી ‘બની બેઠેલા’ ડોક્ટરોની સચોટ ઓળખ કરી શકાય.
કામચલાઉ (પ્રોવિઝનલ) રજિસ્ટ્રેશન બાબતે સુધારો (કલમ 18): અગાઉની જોગવાઈ મુજબ 12 સપ્ટેમ્બર 2026 પછી કોઈ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન આપી શકાતું નહોતું. નવા સુધારા અનુસાર, રાજ્ય સરકાર જાહેરનામા દ્વારા નિર્દિષ્ટ કરે તે મુદત પછી જ કામચલાઉ રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવશે.
આ સુધારાની આવશ્યકતા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે આનાથી વહીવટી સરળતાની સાથે કોઈ કાયદાકીય ગૂંચ કે પ્રશ્નો ઊભા નહીં થાય. એટલું જ નહીં, જો કોઈ ચિકિત્સા સંસ્થા દ્વારા તેનું પાલન કરવાની બાબતોમાં ચૂક કરશે, તો તેની સામે આ કાયદામાં રૂ. 10 હજારથી રૂ. 5 લાખ સુધીના દંડની તેમજ રજિસ્ટ્રેશન કેન્સલ કરવા સહિતનાં પગલાં લેવાની જોગવાઇ કરવામાં આવી છે.
વધુમાં, જે તબીબી સંસ્થાઓએ નિયત સમય-મર્યાદામાં રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેવી સંસ્થાઓ સામે દંડાત્મક કાર્યવાહીની પણ જોગવાઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકારના આ અભિગમથી આરોગ્ય સેવાઓની ગુણવત્તા જળવાઈ રહેશે અને નાગરિકો છેતરપીંડીનો ભોગ બનતા અટકશે તેવો વિશ્વાસ આરોગ્ય મંત્રીએ વ્યક્ત કર્યો હતો.


