અમદાવાદ : અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં માવતરને લજવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અઢી મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગયા બાદ પણ માતાએ તેને બચાવી નહી અને પોતાની ભૂલ ઢાંકવા માટે ટાંકીનું ઢાંકણ બંધ કરીને તેના ઉપર તગારૂ મુકી દીધુ હતું. આ અંગે અમરાઈવાડી પોલીસે માતા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સિધ્ધેશ્વરી નગર બાગે ફિરદોસ પોલીસ લાઈનની સામે રહેતા દિપક મકવાણાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પત્ની મોનીકા મકવાણા વિરૂદ્ધ બદઈરાદે હત્યાની ફરિયાદ કરી છે. ઘટનાના દિવસે દિપક ગેસ સિલિન્ડર લેવા માટે લાઈનમાં ઉભા હતા, ત્યારે પડોશી દ્વારા તેમને તાત્કાલિક ઘરે આવવા માટે ફોન કરવામાં આવ્યો હતો. ઘરે પહોંચતા જ દિપકે જોયું કે આસપાસ લોકો ભેગા થયા હતા અને તેમની બાળકીની સ્થિતિ ગંભીર હતી. પડોશીઓએ જણાવ્યું કે બાળકી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી.
દંપતિએ બાળકી ને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ મામલે પોલીસે બાળકીની માતાની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઘટનાના બાદ માતાએ પોતાની ભૂલ છુપાવવા માટે ટાંકીનું ઢાંકણ બંધ કરી તેના ઉપર તગારું મૂકી દીધું હતું. મોત શંકાસ્પદ લાગતા પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે માતા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ધરપકડ કરી છે અને વધુ તપાસ કરી રહી છે.


