અમદાવાદ : રાજ્યની 15 મહાનગરપાલિકામાં મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આકરી ગરમીની આગાહી વચ્ચે મતદારો વહેલી સવારે જ મતદાન કરવા પહોંચતા મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળી રહી છે.
રિપોર્ટ મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં નારણપુરાની સબ ઝોનલ ઓફિસ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. ત્યાર બાદ તેમણે કામેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કર્યા હતાં. હવે અમિત શાહ ફરી બંગાળ જવા માટે રવાના થશે. તેમણે આ દરમિયાન બંગાળ જીતીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથકે પહોંચી પોતાનો મતાધિકાર ઉપયોગ કર્યો હતો. સામાન્ય નાગરિકોની વચ્ચે રહીને મતદાન કરતા તેમણે લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી અને લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા પ્રેરિત કર્યા.આ પ્રસંગે તેમણે કહ્યું કે, આપ સૌ પણ મતદાન અવશ્ય કરો તેવો આગ્રહભર્યો અનુરોધ કરું છું.
આ તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ વિસ્તારમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે વિકાસને આગળ વધારવા માટે મતદાન મહત્વપૂર્ણ હોવાનું જણાવી લોકોને સક્રિય ભાગ લેવા અપીલ કરી.


