અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા આજે મંગળવારે 28 એપ્રિલના રોજ યોજાનારી મતગણતરીને લઈને મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી થવાની હોવાથી શહેરની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ (નવરંગપુરા) અને ગુજરાત કોલેજ કેમ્પસ (એલિસબ્રિજ) વિસ્તારોમાં ટ્રાફિક જામ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ વિસ્તારમાં કોલેજના મુખ્ય ગેટથી દાદા સાહેબના પગલા ચાર રસ્તા સુધીનો માર્ગ તમામ વાહનો માટે બંધ રહેશે. વાહનચાલકો દાદા સાહેબના પગલાથી વિજય ચાર રસ્તા, હેલ્મેટ સર્કલ થઈ અંધજન મંડળ અને પાંજરાપોળ તરફના રસ્તાનો ઉપયોગ કરી શકશે. ગુજરાત કોલેજ વિસ્તારમાં ઇન્દર રેસિડેન્સી ટી થી ગુજરાત કોલેજ થઈ કવિ નાનાલાલ ઓવરબ્રિજ નીચે સુધીનો માર્ગ પ્રતિબંધિત રહેશે. વૈકલ્પિક રીતે ટાઉનહોલ ચાર રસ્તાથી કલગી ચાર રસ્તા અથવા નગરી હોસ્પિટલથી સી.એન.આઈ.ચર્ચ સર્કલ તરફના માર્ગોનો ઉપયોગ કરી શકાશે.
આ જાહેરનામું 28 એપ્રિલે રાત્રે 12 વાગ્યાથી 24 કલાક સુધી અમલમાં રહેશે. જોકે, ચૂંટણી ડ્યુટીમાં રોકાયેલા વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે


