અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 160 બેઠકો મેળવીને ભારતીય જનતા પાર્ટીએ ફરી સત્તા પ્રાપ્ત કરી છે. આ ભવ્ય વિજય બાદ હવે સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદમાં નગરપતિ એટલે કે મેયર કોણ બનશે તે અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકીય વર્તુળોમાં આગામી મેયરના નામ વિશે અટકળો વહેતી થઈ છે.
અમદાવાદમાં રોસ્ટર સિસ્ટમ મુજબ પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદ OBC માટે અનામત રાખવામાં આવ્યું છે. આ અનામત પદ માટે કેટલાક પ્રમુખ નામો હાલ ચર્ચામાં છે. તેમાં થલતેજ વોર્ડમાંથી હિતેશ બારોટનો સમાવેશ થાય છે, જેઓ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ખૂબ નજીકના માણસ તરીકે ભાજપમાં જાણીતા છે. ભાજપની 60 વર્ષની વયમર્યાદાનો તેમને લાભ મળ્યો છે આથી કહેવાય છે કે, તેમને એએમસીમાં મેયરનો હોદ્દો મળી શકે છે.
બોડકદેવ વોર્ડમાંથી ધરમશી દેસાઈનું નામ પણ ચર્ચામાં છે, જેઓ પાછલી ટર્મમાં એએમટીએસ કમિટીના ચેરમેન રહ્યા હતા. પરંતુ આ વોર્ડમાંથી ગત ટર્મમાં દેંવાગ દાણી સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હતા આથી તેમના નામ અંગે ભાજપનુ મોવડી મંડળ વિચારણામાં લે તેવી શક્યતા બહું ઓછી છે. જો કે તેમને સારી કમિટીના ચેરમેન બનાવવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
આ ઉપરાંત, શાહીબાગ વોર્ડમાંથી જશુ ઠાકોર, જેઓ હેલ્થ કમિટીના પૂર્વ ચેરમેન અને સંગઠન મહામંત્રી પણ છે, તેમનું નામ પણ મેયર પદના દાવેદારોમાં ગણાઈ રહ્યું છે. બોડકદેવ વોર્ડમાંથી દેવાંગ દાણી, જેઓ પાછલી ટર્મના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા, અને પાલડી વોર્ડમાંથી જૈનિક વકીલ, જેઓ એએમસી રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે, તે નામો પણ ચર્ચાના કેન્દ્રમાં છે.
જો કે પક્ષના આંતરિક જૂથવાદને સંતુલિત રાખવાની જવાબદારી પણ હાઈકમાન્ડ સામે ઊભી છે. વિવિધ જૂથોને સંતોષ આપતા ઉમેદવારની પસંદગી કરવી સરળ નથી, જેના કારણે ચર્ચાઓ અને મથામણ વધુ તેજ બની છે. હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે પક્ષ નવા ચહેરાને તક આપશે કે પછી અનુભવી નેતાને ફરીથી જવાબદારી સોંપશે. આ નિર્ણય આગામી દિવસોમાં જાહેર થવાની શક્યતા છે, જે સ્થાનિક રાજકારણમાં નવી દિશા નક્કી કરશે.


