અમદાવાદ : અમદાવાદમાં ઝોન-8 લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને વટવા પોલીસે નકલી ચલણી નોટોનું એક મોટું કૌભાંડ અને દેશના અર્થતંત્રને ખોખલા કરવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે 28 લાખ 94 હજારની નકલી ચલણી નોટો ઝડપી લીધી છે અને 6 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.આ આરોપીઓએ કુલ કેટલી બનાવટી ચલણી નોટો છાપી અને બજારમાં ક્યાં ફરતી કરી તેની તપાસ પોલીસે હાથ ધરી છે. પોલીસે હત્યાના ગુનાની તપાસમાં ઘટના સ્થળેથી મળેલા બળેલા કાગળ પરથી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
રિપોર્ટ મુજબ, ઝોન-8 લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને વટવા પોલીસે તાજેતરમાં વટવા વિસ્તારમાં આવેલા ‘સતેજ હોમ્સ’ ખાતે થયેલી ઇમરાન સિંઘાની હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ તેજ કરી હતી.ગત 27 મેના રોજ વટવા પોલીસને એક માહિતી મળી હતી કે, વટવાના એક ફ્લેટમાં એક વ્યક્તિની બોડી મળી છે અને ખૂબ બદબૂ આવી રહી છે. જેની તપાસ કરતા એ બોડી ઇમરાન સબ્બીર સિંધાની હતી જે વટવામાં રહે છે અને મૂળ માંગરોળ, સુરતનો વતની છે. જેના ઘરની તપાસ કરતા તેમની સાથે રહેનારા ચાર લોકોને ઉત્તર ભારતથી પકડી પાડ્યા હતા. આ હત્યાની તપાસ દરમિયાન જ વટવા પોલીસને ઘટના સ્થળે એક નાનકડો બળેલો કાગળ મળ્યો હતો. જેની તપાસ કરતા નકલી ચલણી નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું છે.
પોલીસને હત્યાના કેસની તપાસ દરમિયાન ઘટના સ્થળેથી મળેલા બળેલા કાગળની તપાસ કરતા ધ્યાન પર આવ્યું કે આ નકલી ચલણી નોટ હોઈ શકે છે. જેને ધ્યાને લઈને આ કેસમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી અને તેના આધારે વટવા પોલીસ અને ઝોન-8 ની ટીમો બનાવી તપાસ શરૂ કરી. પકડાયેલા લોકો પાસેથી જુદી જુદી વસ્તુ જપ્ત કરવામાં આવી. આ આરોપીઓ ત્યાં નકલી ચલણી નોટો પ્રિન્ટ કરી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ચલાવતા હોવાનું તપાસમાં ખુલ્યું.
તપાસમાં સામે આવ્યું કે, પોલીસે ફ્લેટમાં જે વ્યક્તિની બોડી મળી હતી તે મૃતક ઇમરાન સિંધા વટવામાં કમલેશ પટેલના નામનું ફોટોશોપનું આધાર કાર્ડ બનાવી રહેતો હતો અને આ કૌભાંડનો મુખ્ય આરોપી હતો. નોટ બનાવવાની ટેકનિક, તેને પ્રિન્ટ કરવાની ટેકનિક અને વોટરમાર્કથી ગાંધીજીની પ્રિન્ટ પાછળની તરફ લાવવાની ટેકનિકમાં ઇમરાનની માસ્ટરી હતી. અગાઉ આ શખસ ગોધરા અને સુરતમાં પકડાઈ ચૂક્યો હતો અને ત્યારબાદ તેને અમદાવાદમાં આ ટેકનિક શરૂ કરી હતી.
વધુમાં આ કામ માટે ઇમરાને જે લોકોની જરૂર હતી તે પ્રમાણે અન્ય આરોપીઓને તેને સાથે લીધા હતા. જોકે નોટો પ્રિન્ટ કરવાની કામગીરી ઇમરાન કરતો જ્યારે બાકીની મજૂરીની કામગીરી અન્ય આરોપીઓ કરતા. આરોપીઓ જ્યારે અહીંથી ભાગી ગયા ત્યારે તેઓ સાથે નકલી ચલણી નોટો અને લેપટોપ, પ્રિન્ટર લઈને નીકળ્યા હતા જે પોલીસે જપ્ત કર્યા છે.
આ કૌભાંડમાં 30 લાખની નોટો છપાઈ હતી જેમાંથી 28 લાખ 94 હજારની નોટો જપ્ત કરી છે. એ પહેલાં પણ તેઓએ 30 લાખની નોટો છાપી હતી જે બનાસકાંઠાના મેરાજ રબારીને આપી હતી. એ આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત અગાઉ પણ તેઓએ કોઈ નોટો છાપી છે કે બજારમાં ફરતી કરી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.


