અમદાવાદ : સુરતમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓના તોડનો અનેકવાર ભેદ ખોલનાર એડવોકેટ મેહુલ બોઘરા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે સુરત નહીં પરંતુ અમદાવાદમાં ટ્રાફિક પોલીસને મેહુલ બોઘરાએ ટ્રાફિકના નિયમોનું ભાન કરાવ્યું હતું અને ભૂલ સુધાર્યા બાદ જ ટ્રાફિક ક્રેનને જવા દીધી હતી. હકીકતમાં નિકોલ વિસ્તારમાં ટ્રાફિક ક્રેન ઓવરલોડિંગમાં જઈ રહી હતી, જેને લઈને એડવોકેટ મેહુલ બોઘરાએ ક્રેનને અટકાવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ એડવોકેટ મેહુલ બોઘરા અમદાવાદના નિકોલ વિસ્તારમાં કુંજ મોલ ખાતે હતા. અહીં નો પાર્કિંગમાં ટુ-વ્હીલર પાર્ક કરેલા હોવાથી ટ્રાફિક ક્રેન તેને ટો કરવા આવી હતી. જોકે લોકોને દંડ કરતા ટ્રાફિક વિભાગની ક્રેન જ ઓવરલોડિંગ હતી. ક્રેનની 6 ટુવ્હીલરની કેપેસિટી સામે તેમાં 13થી 14 જેટલા ટુ-વ્હીલર જોખમી રીતે ચડાવી દેવામાં આવ્યા હતા. જેને લઈને મેહુલ બોઘરાએ ક્રેનને અટકાવી હતી અને પોલીસને નિયમ મુજબ 1000 રૂપિયાનો દંડ ભરવા કહ્યું હતું.
આ બાદ તેમણે ટ્રાફિક વિભાગમાં ફોન કરીને આ અંગે ફરિયાદ કરી હતી. આ બાદ DCP સફિન હસનની ઓફિસમાં પણ ફોન કરીને ફરિયાદ કરી હતી. જોકે ત્યાંથી જવાબ મળ્યો કે વાહન ઓવરલોડિંગ હોય તો બાઈકને ઘરે થોડા લઈ જાય. સમગ્ર ઘટના તેમણે ફેસબુકમાં લાઈવ કરી હતી. જે બાદ આખરે ટ્રાફિક પોલીસને પોતાની ભૂલ સમજાઈ અને વધારાના વાહનો નીચે ઉતારી નાખ્યા હતા.મેહુલ બોઘરાએ લોકોને અપીલ કરી હતી કે, અમ સમગ્ર અમદાવાદની અન્ય જગ્યાઓ પણ આવી જ રીતે ટ્રાફિક ક્રેન ઓવરલોડિંગમાં ચાલતી હોય છે. અમદાવાદની જનતાએ CMVR-93, MV ACT-194(1A) મુજબ વિરોધ ઉઠાવો જોઈએ અને DCP ટ્રાફિકમાં ફરિયાદ કરવી જોઈએ.
સુરતના યોગી ચોકમાં રહેતા વકીલ મેહુલ ભાઈ બોઘરાએ બી.કોમ. કર્યા બાદ વડોદરામાંથી LLB કરીને સુરતમાં ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે. જોકે તેમણે છેલ્લા બે વર્ષથી પોલીસ અધિકારીઓથી લઈને સરકારી તંત્રમાં ચાલતી લાપરવાહી સામે બંડ પોકાર્યું છે અને અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ખુલ્લેઆમ થતાં કાયદાના ભંગને સોશિયલ મીડિયામાં જાહેર કરવાનું કામ શરૂ કર્યું છે.