અમદાવાદ : ગણતરીના દિવસોમાં નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે.ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં હર્ષોલ્લાસ સાથે લોકો ગરબે રમતા જોવા મળશે. સોસાયટીઓ, ફ્લેટો, પાર્ટી પ્લોટ અને ક્લબ દરેક જગ્યાએ નવરાત્રિના ગરબાનું આયોજન થતું હોય છે ત્યારે આ સમયગાળા દરમિયાન કોઈ ઘટના કે દુર્ઘટના ન બને તે હેતુસર સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેનું ગરબા આયોજકો દ્વારા ફરજિયાત પાલન કરવાનું રહેશે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે. જેમાં મહત્વનો છે કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે.
અમદાવાદ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન
પાર્ટી પ્લોટ અને ગરબા મેદાનના પાર્કિંગ અને અંધારાવાળી જગ્યાએ ફરજિયાત લાઇટ લગાવવી પડશે. આ ઉપરાંત દુકાનોમાં CCTV લગાવવાના રહેશે.
જે પણ રોમિયોગીરી કરતાં ઝડપાશે તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ગરબા સ્થળોએ ભેગા થતા લોકોના પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ ગેટની વ્યવસ્થા કરવાની રહેશે.
આયોજકોએએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ગરબા સ્થળની બંને બાજુના 200 મીટર સુધી રોડ પર ટ્રાફિક જામ ન થાય અને પાર્કિંગમાં કોઈ અવરોધ ન આવે.
જો કોઈ શંકાસ્પદ વાહન જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ.
ગરબા કાર્યક્રમના આયોજકોએ ઈલેક્ટ્રીક ફીટીંગની યોગ્યતા અને ફાયર સેફ્ટી માટે જરૂરી વ્યવસ્થાઓ અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
ગરબા સ્થળ પર પાર્કિંગની વ્યવસ્થા આયોજકો દ્વારા સ્વયંસેવકો/સુરક્ષા ગાર્ડ દ્વારા કરવાની રહેશે અને રસ્તા પર પાર્કિંગ હોવું જોઈએ નહીં.
ગરબા કાર્યક્રમના આયોજકોએ ખાનગી સિક્યોરિટી મારફત તોડફોડ વિરોધી ચેકિંગ કરાવવાનું રહેશે.
કાર્યક્રમની ક્ષમતા કરતાં વધુ પાસ અથવા ટિકિટનું વિતરણ ન કરવું.
12 વાગ્યા પછી લાઉડસ્પીકર ચાલુ રહેશે તો કાર્યવાહી થશે
પોલીસ સ્ટેશન અથવા જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક)ના કક્ષાએથી લાઉડ સ્પીકરની પરવાનગી માટેની અરજી સાથે સાઉન્ડ સિસ્ટમ ભાડે આપવામાં આવે છે અથવા ભાડે લેવામાં આવે છે અને તેની સાથેની વ્યક્તિનું નામ, સરનામું અને ફોટો ઓળખ કાર્ડની જોગવાઈઓ અવાજ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો 2000 ની કલમ 5(2) નું પાલન કરવાનું રહેશે.
અવાજ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો-2000 ની કલમ 5(2) ની જોગવાઈઓ હેઠળ, 3 થી 11 ઓક્ટોબર સુધી, માઇક્સ અને લાઉડસ્પીકરનો ઉપયોગ સ્થાનિક પરિસ્થિતિઓને આધિન માત્ર 12 મધરાત સુધી જ કરી શકાશે. કડક સૂચના આપતા પોલીસે જણાવ્યું હતું કે રાત્રે 12 વાગ્યા પછી કોઈપણ સ્થળે રાસ-ગરબા કે કાર્યક્રમ દરમિયાન માઈક અને લાઉડસ્પીકર ચાલુ રાખવા દેવામાં આવશે નહીં. જો આ સમય મર્યાદા બાદ કોઈપણ કાર્યક્રમમાં માઈક અને લાઉડ સ્પીકર કામ કરતા જોવા મળે તો સંબંધિત પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ ઈન્સ્પેક્ટરને કાર્યક્રમના આયોજક અને સાઉન્ડ સિસ્ટમના માલિક સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.