અમદાવાદ : રાજ્યમાં આગામી 13મી જૂનથી ઉનાળુ વેકેશન બાદ સ્કૂલો ફરીથી ખૂલી રહી છે. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થીઓ નવા પુસ્તકો, નોટબુક, યુનિફોર્મ તથા સ્ટેશનરી સહિતની સામગ્રી ખરીદતા હોય છે. એવામાં રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યની જે નોન-ગ્રાન્ટેડ ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ, પુસ્તકો કે સ્ટેશનરી કોઈ ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી ખરીદવા દબાણ કરશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
વિદ્યાર્થીઓને ગણવેશ, બુટ, પુસ્તક, સાહિત્ય અને સ્ટેશનરીની વસ્તુઓ કોઇ ચોક્કસ દુકાનેથી જ ખરીદવા માટે શાળાઓ દ્વારા દબાણ કરાતું હતું તે હવે નહી કરી શકાય. આ પ્રકારનું દબાણ કરવું હવે દંડનીય ગુનો બની ચુક્યો છે. અનિયમિતતા આચરી ખાનગી શાળાઓ સામે પહેલીવારમાં 10 હજાર ત્યાર બાદનાં દરેક કિસ્સામાં 25 હજાર રૂપિયાનો દંડ વસુલવા માટેની જોગવાઇ સરકાર દ્વારા કરવામાં આવી છે. જો કે 5 વખતથી વધુ વખત ફરિયાદ મળશે તો શાળા અને તેની સંસ્થાની માન્યતા રદ્દ કરવામાં આવશે.
વિદ્યાર્થી તથા તેના વાલીઓને ચોક્કસ સંસ્થા કે એજન્સી પાસેથી જ મટિરિયલ કે કોઇ ચોક્કસ કંપનીનું મટિરિયલ ખરીદવા માટે મજબુર નહી કરી શકાય. આ અંગે જો કોઇ પણ શાળા દબાણ કરે તો તમે જિલ્લાના શિક્ષણાધિકારીને પણ ફરિયાદ કરી શકો છો. જિલ્લા શિક્ષણાધિકારીએ આવી ફરિયાદ મળ્યાના કિસ્સામાં પ્રાથમિકતા આપીને તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જોવાનું રહેશે. તેમ છતાં પણ ક્યાંય કાચુ કપાતું હોય તેવું લાગે તો સીધો જ શિક્ષણમંત્રીને ફરિયાદ કરવા માટેની જોગવાઇ પણ કરવામાં આવી છે.