ગાંધીનગર : ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ કુંભ મેળામાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી ધન્યા અનુભવી રહ્યા છે. પ્રયાગરાજના કુંભ મેળામાં ગુજરાતીઓ આસ્થાની ડૂબકી લગાવવા માટે રાજ્ય માર્ગ વાહન વિભાગ તેમજ પ્રવાસન વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓ માટે નવી વોલ્વો બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ આ નવી વોલ્વો બસો અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે દોડાવવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આગામી ૨૭મી જાન્યુઆરી – 2025ને સોમવારથી આ સેવા શરુ કરવામાં આવશે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે. માત્ર રૂ. 8100 માં પ્રતિ વ્યક્તિ 3 રાત્રિ/4 દિવસનું પેકેજ ગુજરાતના શ્રધ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવ્યુ છે.
આ પેકેજમાં તમામ 3 રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે. પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગ તા: 25-01-2025થી એસ.ટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જનતાને પવિત્ર મહાકુંભનો લાભ લેવા નમ્ર પ્રયાસ કર્યો છે આમ છતાં પ્રયાગરાજ મુકામે યાત્રિકો મોટી માત્રામાં પધારતા હોઈ સમય અને સુવિધામાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર થવાની શકયતા છે.
હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જે 144 વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસનું સંચાલન કરવા અનોખી પહેલ કરી છે, જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે.