ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એસટી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી આ માહિતી આપી છે. રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના કર્મચારીઓના ચાલુ ફરજે થતાં નિધનમાં ચુકવવામાં આવતી સહાયમાં વધારો કર્યો છે. સરકારના આ નિર્ણયથી એસટી વિભાગમાં કામ કરતા લાખો કર્મચારીઓને ફાયદો થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એસટી વિભાગના કર્મચારીઓના ચાલુ ફરજે અવસાન થવા પર તેમના પરિવારજનોને જે આર્થિક પેકેજ ચૂકવવામાં આવે છે, તેમાં રૂ. 8 થી 10 લાખનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી, રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવવામાં આવતા પેકેજ જેટલું એટલે કે રૂ.14 લાખનું વળતર ચૂકવવામાં આવશે.સરકારના આ નિર્ણયથી એસટીના કર્મચારીઓના પરિવારજનોને આર્થિક સહાય મળશે અને તેઓને મુશ્કેલ સમયમાં મદદરૂપ થશે. આ નિર્ણયને ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે અને સંબંધિત આદેશો જારી કરવામાં આવશે.
વાહન-વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લખ્યું- રાજ્યના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એસટી નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે. નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને હાલ ચૂકવતા આર્થિક પેકેજમાં રૂ. 8 થી 10લાખ જેટલો વધારો કરીને તેઓને રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવતા પેકેજ જેટલું એટલે કે રૂ.14 લાખ આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આ બાબત ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે.