ગાંધીનગર : રાજ્યમાં ગોઝારા અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. પાટનગર ગાંધીનગરમાં સરગાસણ ખ રોડ ઉપર હડમતિયા નજીક ગુરુવાર (તા. 20/02/2025)ની રાત્રે એક કાર ડિવાઈડર કૂદીને સામેની તરફ આવી જતાં બે કાર સાથે અથડાતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા.જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત અન્ય ચારેક લોકોને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે સેક્ટર-7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગરના સેકટર – 26 માં રહેતું એક કપલ તેમજ એક પુરુષ ગુરુવારે રાત્રે અલ્ટો કારમાં અમદાવાદથી સેકટર-26 તરફ જઈ રહ્યા હતા. જેઓ ખ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. જ્યારે સરગાસણ પ્રમુખ એ બોર્ડમાં રહેતો યુવક પણ પીકઅપડાલું લઈને સરગાસણ નાયરા પેટ્રોલ પંપથી પ્રમુખ ગ્રીન પાર્ટી પ્લોટ તરફ જઈ રહ્યો હતો. આ સમયે મહાત્મા મંદિર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે કાર પરનું નિયંત્રણ ગુમાવી દેતા કાર ડિવાઇડર કૂદીને બંને વાહનો સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર એટલી સ્પીડમાં હતી કે તેમની કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
અકસ્માતના પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સેકટર-7 પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાદમાં ઉપરોક્ત તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો અને ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.