
અમદાવાદ: ગુજરાતી સાહિત્યનું એક ધરેણું આપણાથી છૂટું પડ્યું. ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ સર્જક રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. મળતી માહિતી અનુસાર, આજે (15 માર્ચ, 2025) તેમનું ટૂંકી બીમારી બાદ રાત્રે નિધન થયું છે.તેઓ પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચરિત્રનિબંધોના લેખક હતા. તેમણે ગુજરાતી ભાષાને અનેક યાદગાર કૃતિઓ આપી હતી. નવલકથા, વાર્તા, જીવનચરિત્ર અને ઝબકારના તેમના જીવનચિત્રો ગુજરાતી સાહિત્યમાં ખૂબ લોકપ્રિય છે.
બાળપણ બીલખામાં વીતાવ્યું. પિતાજી બીલખા સ્ટેટના સગીર-રાજવી વતી કારભાર સંભાળતા એટલે રજવાડી જાહોજલાલી હતી. દેશી-રાજ્યોના વિલીનીકરણ પછી જાહોજલાલી આથમી. પ્રાથમિક શિક્ષણ બીલખા, ચરખા, ગોપાલગ્રામ, ઢસા અને જેતપુરમાં લીધું. માતા શિક્ષિત હતાં એટલે વાંચન-લેખનનો શોખ બાળપણથી. 1959માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કૉમ. અને ત્યારબાદ 1966માં તે જ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. 1959થી 1966 સુધી સરકારી ઑડિટર તરીકે અને 1966-89 દરમિયાન બૅન્ક-મૅનેજર તરીકે કામ કર્યું.
રજનીકુમાર પંડયાનું ગ્રામપત્રકારત્વ માટે રાજ્ય સરકારનો ઍવૉર્ડ તેમજ સ્ટેટ્સમૅન ઍવૉર્ડ તથા ટૂંકી વાર્તાના ક્ષેત્રે સરોજ પાઠક ઍવૉર્ડ અને ધૂમકેતુ ઍવૉર્ડથી સન્માન થયું છે.સવિતા વાર્તાસ્પર્ધામાં બે વાર તેમને સુવર્ણચંદ્રકો પણ એનાયત થયેલા. વર્ષ 2003ના વર્ષનો કુમાર સુવર્ણચંદ્રક એમને પ્રદાન થયો હતો. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીનાં પાંચ એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદનાં ઍવૉર્ડ, પત્રકારિત્વમાં ગુજરાત સરકારનો ઉત્તમ ઍવૉર્ડ, હરિ ઓમ આશ્રમ ઍવૉર્ડ, કલકતાનાં સ્ટેટ્સમેન અખબારનો રાષ્ટ્રીય કક્ષાનો ઍવૉર્ડ, દૈનિક અખબાર સંઘ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
તેમના લેખનની શરૂઆત વર્ષ 1959થી થઈ હતી. વર્ષ 1977માં તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ખલેલ’ પ્રકાશિત થયો. 1980થી તેમણે કટારલેખનની શરૂઆત કરી અને ‘ઝબકાર’ શ્રેણીનાં પ્રસંગ આલેખનો, ઉપરાંત દૈનિકપત્રોમાં પ્રગટ થયેલ લેખોની ‘મનબિલોરી’ તથા રેખાચિત્રોની ‘ગુલમહોર’ વગેરે લોકપ્રિય કટારો તેમણે આપી. તેમની નવલકથાઓએ તેમને વિશેષ નામના આપી. તેમની નવલકથાઓ ‘કોઈ પૂછે તો કહેજો’, ‘ચંદ્રદાહ’, ‘પરભવના પિતરાઈ’ પ્રગટ થઈ. તેમની યશકલગી સમાન ‘કુંતી’ (ભાગ 1-2) વર્ષ 1991માં પ્રકાશિત થઈ. તેના પરથી અધિકારી બંધુઓ અને નિમેષ દેસાઈએ તેના ઉપરથી રાષ્ટ્રીય દૂરદર્શન ઉપર હિંદીમાં ટીવી સીરીયલો બનાવી હતી.