અમદાવાદ : અમદાવાદના ભદ્ર વિસ્તારમાંથી પાથરણા વાળાઓને દૂર કરવાના વિવાદમાં થયેલી જાહેરહિતની અરજીમાં આજે 13 માર્ચે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજની બેન્ચ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2014માં દાખલ થયેલી આ જાહેર હિતની અરજી ઉપર હાઇકોર્ટે લંબાણપૂર્વક સુનવણી યોજી હતી.હાઇકોર્ટે નોંધ્યું કે ભદ્ર વિસ્તારમાંથી પાથરણાંવાળાઓને હટાવવાની કાર્યવાહી કાયદા વિરુદ્ધ હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કોર્ટે AMCને આદેશ આપ્યો છે કે સર્ટિફાઈડ સ્ટ્રીટ વેન્ડર્સને અગાઉના પ્લાન મુજબ યોગ્ય જગ્યા ફાળવવામાં આવે અને આ માટે ફેરિયાઓને સાથે રાખીને જ નવી સ્કીમ તૈયાર કરવામાં આવે. હાઈકોર્ટે આ પ્રક્રિયા માટે કડક સમયમર્યાદા નક્કી કરતા આદેશ આપ્યો હતો કે આગામી 21 માર્ચ સુધીમાં ભદ્રના તમામ સર્ટિફાઈડ ફેરિયાઓને પુનઃસ્થાપિત કરવામાં આવે. આ માટે AMCના ત્રણ અધિકારીઓ અને એક સિનિયર પોલીસ અધિકારીની બનેલી કમિટી એક અઠવાડિયામાં સર્ટિફિકેટની ચકાસણી પૂર્ણ કરશે.
AMCના રેકોર્ડ મુજબ ઉપલબ્ધ 844 જગ્યાઓ પૈકી જે 586 ફેરિયાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે તેમને ભદ્રમાં જ સમાવવાના રહેશે, જ્યારે બાકીના 258 ફેરિયાઓને અન્યત્ર રિલોકેટ કરવાની વ્યવસ્થા કરવાની રહેશે. જોકે, આ વ્યવસ્થા દરમિયાન અવરજવરનો રસ્તો ન રોકાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી વહીવટીતંત્રની રહેશે અને આ મામલે વધુ સુનાવણી 17 એપ્રિલે યોજાશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
વર્ષ 2014માં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી પર હાઇકોર્ટે લાંબા સમયથી સુનાવણી હાથ ધર્યા બાદ ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે AMC દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ (સુરક્ષા અને નિયમન) અધિનિયમનો યોગ્ય અમલ કરવામાં આવ્યો નથી. કોર્ટના મત મુજબ, કોઈ પણ વિસ્તારને ‘નો વેન્ડિંગ ઝોન’ જાહેર કરતા પહેલા સ્ટ્રીટ વેન્ડર્સનો યોગ્ય સર્વે કરવો જરૂરી છે. સર્વે કર્યા વગર ભદ્ર વિસ્તારમાંથી પાથરણાંવાળાઓને હટાવવાની કાર્યવાહી યોગ્ય નથી.


