અમદાવાદ : શહેરના નારણપુરા સહીત અનેક હાઉસિંગમાં રેડેવલોપમેન્ટને લઈને અનેક રજૂઆતોનો કોઈ સકારાત્મક જવાબ ન આવતા નારણપુરામાં આજે સવારે હજારોની સંખ્યામાં રોડ પર ઉતરી આવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ રિડેવલપમેન્ટ માર્ગદર્શિકા ૨૦૧૬ માં સુધારા સહિતની માંગણીઓને લઈને નારણપુરા વિસ્તારમાં હાઉસિંગની વસાહતોમાં રહેતા અસંખ્ય રહીશોએ ભેગા મળી અલગ અલગ જગ્યાએ બેનરો લગાવી, માનવસાંકળ રચી, થાળી વેલણના નાદ સાથે સુત્ર્રોચ્ચાર કરી આક્રોશ ઠાલવ્યો હતો.
નારણપુરામાં GHB ઓફીસની સામે નિધી એપાર્ટમેન્ટ, પ્રગતીનગર ચાર રસ્તા, શ્રધ્ધાદીપ કોમ્પ્લેક્ષ, અમર એપાર્ટમેન્ટ, સુરમ્ય એપાર્ટમેન્ટ તથા રીંગરોડ પર નિર્મલ એપાર્ટમેન્ટ આગળ હાથમાં બેનરો સાથે આક્રોશ ઠાલવતા રહીશો રોડ પર ઉતર્યા હતા. આ દેખાવોના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રહીશો જોડાયા હતા. હાઉસીંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં ફેડરેશને વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં જો યોગ્ય સકારાત્મક પરિણામ ટૂંક સમયમાં નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે બધાને સાથે લઈ અન્ય આંદોલનત્મક કાર્યક્રમ કરવામાં આવશે.