અમદાવાદ : શહેરમાં શહેરી વિકાસને નવી દિશા આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની હાજરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના વિકાસકાર્યો જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા.અમદાવાદ શહેરના વિકાસ,આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા શહેરના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે અતિ મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટ પૂર્ણ થતાં ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી વિસ્તાર, સાઉથ બોપલ, ભાડજ, હેબતપુર, થલતેજ, બોપલ-ઘુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, મહમદપુરા, ફતેહવાડી, શાંતિપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ઉભી થતી ડ્રેનેજ ઓવરફ્લો અને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે. આ પ્રોજેક્ટના પરિણામે અંદાજે 18 થી 20 લાખ નાગરિકોને આધુનિક અને સુરક્ષિત ડ્રેનેજ સુવિધાનો લાભ મળશે.
આ ઉપરાંત અમદાવાદ શહેરના ટ્રાફિક અને શહેરી સૌંદર્યીકરણ માટે મહત્વપૂર્ણ એવા ઇસ્કોનથી પકવાન ચાર રસ્તા સુધીના 4 કરોડના ખર્ચે ત્યાર થયેલા પાયલોટ સ્ટ્રેચ વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યુ. પાયલોટ સ્ટ્રેચ અંતર્ગત ફૂટપાથ, સાયકલ ટ્રેક, સ્ટ્રીટ ફર્નિચર, લૅન્ડસ્કેપિંગ, લાઈટિંગ, સાઈનેજ તેમજ પેડેસ્ટ્રીઅન-ફ્રેન્ડલી ડિઝાઇન સાથે માર્ગને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ માર્ગ વિકાસ પ્રોજેક્ટને ભવિષ્યમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ અમલમાં મૂકવા માટે મોડેલ તરીકે અપનાવવામાં આવશે.
આ ઉપરાંત અમદાવાદના વણઝરના રહીશોને સનદ આપવાની કાર્યવાહી કરવામાં આવી. આ સનદ વિતરણથી રહીશોને માલિકી હકનો અધિકાર મળશે,જે સામાજિક ન્યાય અને માનવીય દૃષ્ટિકોણનું મહત્વપૂર્ણ ઉદાહરણ બનશે.
આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોજાયેલા IMAના રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા હતા આ તકે તેણે તબીબઆલમને ટકોર કરી કે આયુષ્યમાન ભારત અને જેનરિક દવાના સ્ટોર મુદ્દે બોલીને તેનુ મહત્વ ન ઘટાડશો. તેમણે સ્પષ્ટ કહ્યું કે તબીબો સાથે કોઈ સ્પર્ધા નથી, પરંતુ સમગ્ર સિસ્ટમનું પાલન અનિવાર્ય છે. “દેશમાં વિવિધ સમાજજીવન અને વિવિધ પ્રકારના દર્દીઓ છે, તેથી વ્યવસ્થા મજબૂત રાખવી જરૂરી છે,” તેમ શાહે જણાવ્યું.
અમિત શાહે કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં આરોગ્ય બજેટમાં નોંધપાત્ર વધારો થયો છે અને આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બની છે. આજનો યુગ મેડિકલ પ્રિવેન્શનનો છે અને ડૉક્ટર દરેક દર્દી માટે આશાનું કિરણ છે. દરેક દર્દીને ડૉક્ટરમાં ઈશ્વરનું રૂપ દેખાય છે, તેમ તેમણે ઉમેર્યું. તેમણે કેટલાક લોકો દ્વારા વ્યવસ્થાને નીચું બતાવવાના પ્રયાસો સામે એકજૂટ રહેવાની અપીલ પણ કરી.
આ પ્રસંગે અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે “રાહુલ બાબા, તમે હારથી થાકો નહીં, બંગાળ અને તમિલનાડુમાં પણ હારવાનું નક્કી રાખજો.” તેમણે જણાવ્યું કે 2029માં ફરી મોદીજીના નેતૃત્વમાં ભાજપ સરકાર બનાવશે. “અમે રામ મંદિર બનાવીએ તો વિરોધ કરો, પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરીએ તો પણ વિરોધ કરો, જનતાને જે ગમે તેનો વિરોધ કરશો તો મત ક્યાંથી મળશે?”


