અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા તળાવ ફરતે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલ આગામી 31 ડિસેમ્બર સુધી ચાલુ રહે છે. શનિવાર બાદ રવિવારે પણ કાંકરિયા કાર્નિવલમાં 1 લાખથી પણ વધારે લોકો ઉમટ્યા હતા. જો કે, 52 બાળકો પોતાના માતા પિતાથી અલગ પણ થઈ ગયા હતા. શરૂઆતના માત્ર ત્રણ જ દિવસમાં 52 જેટલા બાળકો ભીડમાં પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. જોકે, અમદાવાદ પોલીસની સતર્કતા અને હાઈટેક સર્વેલન્સને કારણે ગણતરીના કલાકોમાં જ આ તમામ બાળકોને શોધી કાઢી તેમના માતા-પિતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.
શનિ અને રવિ બે દિવસ શહેરમાં મોટા ભાગના ધંધા-નોકરીમાં રજા હોય છે. જેના કારણે લોકો કાંકરિયા કાર્નિવલમાં ગયાં હતાં. શનિ-રવિને લઇ લોકોનો કાંકરિયામાં વધારે ધસારો જોવા મળ્યો હતો. મોડી સાંજે 1 લાખથી પણ વધારે લોકો કાંકરિયા કાર્નિવલ જોવા માટે કાંકરિયા પહોંચી ગયાં હતાં. જેથી ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમથી કાંકરીયાના ગેટ બંધ થયા હતા. આના કારણે મોટી સંખ્યામાં લોકો પરેશાન પણ થયાં હતા, પરંતુ સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે આ નિર્ણય લેવો પણ જરૂરી છે.
કાંકરિયા કાર્નિવલમાં રોજના 50 હજારથી વધારે લોકો આવી રહ્યા છે. જેમાં 25 ડિસેમ્બરથી લઈને 27 ડિસેમ્બર સુધીના 3 દિવસમાં કાંકરિયા કાર્નિવલ ખાતે કુલ 52 જેટલા બાળકો વિખૂટા પડી ગયા હતા. ત્યારે માતા-પિતા દ્વારા કાંકરિયા કાર્નિવલ ખાતે શરૂ કરવામાં આવેલા પોલીસ કંટ્રોલરૂમમાં પોતાનું બાળક વિખૂટું પડી ગયું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે કાંકરિયા પરિસર ખાતે હાજર મિસિંગ સેલના અને અન્ય પોલીસકર્મીઓ અને સીસીટીવી કેમેરાની મદદથી વિખૂટા થયેલા બાળકોને શોધીને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
કાંકરિયા કર્નિવેલમાં 6 અત્યાધુનિક ડ્રોન અને 3 હાઈ-ટેક કંટ્રોલ રૂમ દ્વારા થઈ રહેલા મોનિટરિંગને પગલે બાળકો જ નહીં, પરંતુ ખોવાયેલા કિંમતી વસ્તુ પણ મુલાકાતીઓને પરત અપાવવામાં આવી છે. એએમસી અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને ભારે ભીડમાં પોતાના બાળકો અને કિંમતી ચીજવસ્તુઓનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે.


