અમદાવાદ : AMC આગામી સમયમાં યોજાઈ રહેલા ફ્લાવર શો ને લઈ નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં મુલાકાતીઓના પ્રવેશ સમય અને સ્લોટ્સની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે ભીડને નિયંત્રિત કરવા અને મુલાકાતીઓનો અનુભવ વધુ યાદગાર બનાવવા માટે તંત્રએ સમયપત્રકમાં ખાસ ફેરફારો કર્યા છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીના રોજ સવારથી ફ્લાવર શો યોજાવવાનો છે. જે ફ્લાવર શો જોવા માટે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂપિયા 80 જ્યારે શનિ-રવિ તેમજ જાહેર રજાઓમાં રૂપિયા 100 ટિકિટ નક્કી કરી છે. અટલબ્રિજ અને ફ્લાવર શો કોમ્બો ટિકિટ પણ મેળવી શકાશે.
ફ્લાવર શો સામાન્ય જનતા માટે સવારે 9:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. આ સમય દરમિયાન મુલાકાતીઓ નિર્ધારિત ટિકિટ દરો (સોમ-શુક્ર રૂ. 80 અને શનિ-રવિ રૂ. 100) ચૂકવીને પ્રવેશ મેળવી શકશે. 12 વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે આ સમયગાળામાં એન્ટ્રી ઉપલબ્ધ રહેશે.
જે મુલાકાતીઓ ભીડભાડ વગર શાંતિથી ફ્લાવર શો નિહાળવા માંગતા હોય અથવા ફોટોગ્રાફીના શોખીન હોય, તેમના માટે AMC દ્વારા આ વર્ષે ખાસ VIP સ્લોટ્સ જાહેર કરવામાં આવ્યા છે.
સવારનો VIP સ્લોટ: સવારે 8:00 થી 9:00 વાગ્યા સુધી.
રાત્રિનો VIP સ્લોટ: રાત્રે 10:00 થી 11:00 વાગ્યા સુધી.
ફી: આ ખાસ સ્લોટમાં પ્રવેશ મેળવવા માટે વ્યક્તિ દીઠ 500 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. આ સમય દરમિયાન મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપવામાં આવશે.
ઓનલાઇન ટિકિટિંગ અને એન્ટ્રી પ્રોસેસ
AMC દ્વારા એન્ટ્રી ગેટ પર લાઈનો ઘટાડવા માટે QR કોડ સ્કેનિંગ દ્વારા ટિકિટ બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાતીઓ ઓનલાઇન ટિકિટ બુક કરતી વખતે જ પોતાનો સમય પસંદ કરી શકશે. ઓનલાઇન ટિકિટ મોબાઈલ પર બતાવીને સીધો જ ગેટ પરથી પ્રવેશ મેળવી શકાશે.

રાત્રે 10:00 વાગ્યા પછી સામાન્ય મુલાકાતીઓ માટે એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે.
જે મુલાકાતીઓએ કોમ્બો ટિકિટ લીધી હશે, તેમને જ ફ્લાવર શોથી અટલ બ્રિજ તરફ જવા દેવામાં આવશે.
રવિવાર અને જાહેર રજાઓના દિવસે ભીડ વધવાની શક્યતા હોવાથી મુલાકાતીઓને વહેલા આવવા અથવા ઓનલાઇન ટિકિટ મેળવી લેવા તંત્રએ અપીલ કરી છે.
સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને કિનારે ટ્રાફિક અને ભીડના વ્યવસ્થાપન માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.


