અમદાવાદ : આરાસુરી શક્તિપીઠ અંબાજી ખાતે આજે 3 જાન્યુઆરીના રોજ જગતજનની મા અંબાનો પ્રાગટ્યોત્સવ (પોષી પૂનમ) ધામધૂમથી ઉજવવામાં કરવામાં આવી રહી છે. સમગ્ર મંદિર પરિસરને આકર્ષક ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. વહેલી સવારે ભક્તોની ભીડ જામવા લાગી છે.મંગળા આરતીમાં માની એક ઝલક નિહાળવા માટે ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. ભક્તોએ મંગળા આરતીમાં ભાગ લેવા માટે લાંબી લાઈનો લગાવી હતી. સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
આજે પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે અંબાજી ખાતે મા જગદંબાના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસને અક્ષર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે તથા આ દિવસે માતા અંબાજીનો પ્રાગટ્યોત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસથી માઘ સ્નાનનો પ્રારંભ થાય છે. આજે પોષી પૂનમના દિવસે ચંદ્ર પોતાનું સંપૂર્ણ અમૃત તત્ત્વ પૃથ્વી ઉપર વરસાવશે. આમ, પોષી પૂનમનું મહત્ત્વ અનેક પ્રકારે રહેલું છે.
આજે શાકંભરી નવરાત્રી પૂરી થતી હોવાથી માતાજીને લીલાં શાકભાજી અર્પણ કરવાં તથા કુળદેવીની પૂજામાં અંબાજીની પૂજા કરવી, જપ કરવા ઉત્તમ ગણાય છે. અમદાવાદમાં અતિપ્રાચીન એવા માધુપુરા વિસ્તારમાં અંબાજીનું મંદિર આવેલું છે. આજે આ મંદિરમાં પણ માતાજીના પ્રાગટ્ય દિવસે અન્નકૂટ તેમજ હવન-યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આજે મા અંબાનાં ચરણોમાં શિશ ઝુકાવવા માટે માનવ મહેરામણ ઊમટી પડ્યું છે.
આજે નગરચર્યા અને 3 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળી હતી. સમગ્ર ઉત્સવનું મુખ્ય આકર્ષણ માતાજીની વિશાળ શોભાયાત્રા છે, જેમાં મા અંબાને હાથી ઉપર બિરાજમાન કરવામાં આવ્યાં છે. આ શોભાયાત્રા અંબાજી નગરના સુશોભિત માર્ગો પર ફરી રહી છે, જેમાં ગામની બાળાઓ માથા પર કળશ અને શ્રીફળ લઈને જોડાઈ છે. શોભાયાત્રાના અંતે મંદિરના શિખર પર ધજા ચઢાવીને વિધિવત્ રીતે સમાપન કરવામાં આવ્યું હતું.
પોષી પૂનમ શાકંભરી પૂનમ અને સુખડી પૂનમ તરીકે પણ ઓળખાય છે. આજે વહેલી સવારે ગબ્બર ઉપર ધજા ચઢાવવામાં આવી હતી. ત્યાર બાદ ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત લાવીને મંદિર સુધી ભાવભેર હજારો માઇભક્તોના જય અંબેના નાદ સાથે જ્યોતયાત્રા નીકળી હતી.
અંબાજી પાસે કોટેશ્વરનું જૂનું મંદિર છે. ભગવાન શ્રીકૃષ્ણની બાબરી અહીં ઉતરાવાયેલી એવી લોકવાયકા છે. આ મંદિર દિવ્ય છે. પોષી પૂનમે લાખો ભક્તો મંદિરનાં દર્શને આવે છે. દેવી ભાગવત અનુસાર અગ્નિદેવની કૃપાથી મહિષાસુર નામનો રાક્ષસ નરજાતિથી મરી ન શકે તેવું વરદાન ધરાવતો હતો. દેવોએ ભગવાન શિવજીની સ્તુતિ કરી તે જ સમયે દિવ્ય તેજથી મા આદ્યશક્તિ પ્રગટ થયાં અને માએ રાક્ષસનો સંહાર કર્યો હતો, તેથી તેઓ મહિષાસુર મર્દિની અંબા કહેવાયાં. આજના દિવસે મા અંબા પ્રગટ થયાં હતાં અને ભક્તોનું ભલું કર્યું હતું. પૃથ્વી ઉપર વ્યાપેલ વિનાશક દુષ્કાળ સમયે માતાજીના આશીર્વાદથી ધન-ધાન્ય અને પુષ્કળ પ્રમાણમાં શાકભાજી ઉત્પન્ન થયાં હતાં, જેના કારણે આ પૂનમને શાકંભરી પૂનમ પણ કહેવામાં આવે છે. આજે વહેલી સવારથી જ અંબાજી મંદિર માતાજીના પ્રાગટ્યોત્સવને લઈ મા અંબાને સોનાના થાળમાં રાજભોગ ધરાવવામાં આવશે. બપોરે વિશેષ આરતી પણ કરવામાં આવશે.
આજની વિશેષ વ્યવસ્થા
મંદિરમાં માતાજીને પ૬ ભોગ ધરાવવામાં આવશે.
સમગ્ર યાત્રા દરમિયાન સુખડી પ્રસાદનું વિતરણ થશે.
શ્રદ્ધાળુઓ માટે બે લાખ પ્રસાદ પેકેટ, નિઃશુલ્ક ભોજન


