અમદાવાદ : અમદાવાદીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. શાહીબાગ અંડરબ્રિજને 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. અગાઉ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે અંડરબ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો, જેના કારણે ટ્રાફિક સમસ્યા થવાની શક્યતા હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જોકે, સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક), અમદાવાદ શહેરની કચેરી દ્વારા જારી કરવામાં આવેલી નવી પ્રેસ નોટ મુજબ, કેટલાક અગમ્ય કારણોસર આ કામગીરી હાલ પૂરતી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પરિણામે, શાહીબાગ અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે નહીં અને તે રાબેતા મુજબ ચાલુ રહેશે.આ નિર્ણયથી મુસાફરો સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહનચાલકોને મોટી રાહત મળી છે.
મળતી માહિતી અનુસાર, બુલેટટ્રેનની કામગીરી માટે 5 તારીખથી 8 દિવસ સુધી શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો હતો. જો કે તંત્ર દ્વારા એરપોર્ટ, ગાંધીનગરથી શાહીબાગ દિલ્હી દરવાજા, કાલુપુર તરફ જતા વાહનચાલકોને ડફનાળા રિવરફ્રન્ટ થઈ શિલાલેખ સોસાયટી તરફના રસ્તે ડાયવર્ટ કરવાના હતા.


