અમદાવાદ : ગાંધીનગરની સાથે અમદાવાદમા પણ દક્ષિણ,પૂર્વ અને મધ્ય એમ ત્રણ ઝોનમાં પાણીજન્ય એવા ટાઈફોઈડ અને કમળા,કોલેરા અને ઝાડા ઉલટી સહિતના કેસમાં વધારો થતા કોર્પોરેશનનુ હેલ્થ વિભાગ હરકતમાં આવ્યું છે.અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળાની આશંકાએ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. AMCના ફૂડ અને આરોગ્ય વિભાગે બહેરામપુરા સહિતના વિસ્તારોમાં દરોડા પાડી પાણીપુરી અને પકોડી બનાવતા એકમોની તપાસ કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મંગળવારે શહેરના બહેરામપુરા, ગોમતીપુર સહિત અન્ય વોર્ડ વિસ્તારમાં પાણીપૂરી વેચનારા સામે હેલ્થ વિભાગે સઘન કાર્યવાહી કરી હતી.બહેરામપુરામાં અસહય ગંદકી અને મચ્છરોના ઉપદ્રવ વચ્ચે પાણીપૂરીની પુરી તૈયાર થતી હતી. ત્રણ ઝોનના વિવિધ વિસ્તારમાંથી સડેલા બટાકા, ચટણી સહિતનો 544 કિલોગ્રામ જથ્થાનો નાશ કરાયો હતો.પાણી,પકોડી ,ચટણીના સેમ્પલ લેવાયા હતા. તપાસ દરમિયાન નરી ગંદકી અને દુર્ગંધ વચ્ચે ખાદ્ય પદાર્થો તૈયાર થવાનો ચોંકાવનારો ખુલાસો થયો.તંત્રનો દાવો છે કે આવનારા દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.
સવાલ એ પણ ઊભો થાય છે કે આટલી ગંદકી હોવા છતાંય AMC શું કરે છે? જયાં AMC દ્વારા દોર ટુ દોર નું અભિયાન ચલાવી રહી છે તો આટલી ગંદકી આવા રહેણાંક વિસ્તારમાં કેવી રીતે ફેલાઈ રહી છે ? જ્યારે પણ કોઈ ઘટના બને છે ત્યારે ફક્ત દંડ અને નોટિસ ફટકારીને ફોર્માલિટી કરી બતાવવામાં કેમ આવે છે. સખત એક્શન કેમ નથી લેવાતા ?
કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી નિષ્ક્રીયતા જોવા મળી રહી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે પણ ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થને શહેરમા વધતા જતા પાણીજન્ય રોગના કેસને નિયંત્રણમાં લેવા માટે ટકોર કરેલી છે.


