અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા વધતા AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોમર્શિયલ કોમ્પેક્સ દ્વારા વાહનો કોમ્પલેક્ષમાં પાર્ક નહીં કરવા દેવામાં આવે તો તેમની સામે કાર્યવાહી થશે. શહેરમાં કોમ્પલેક્ષમાં પાર્કિંગ હોવા છતાં તેનો ઉપયોગ નથી થતો પરિણામે વાહન ચાલકો તેમના વાહન રોડ પર પાર્ક કરે છે જેના કારણે દબાણ ઊભું થતા ટ્રાફિકની સમસ્યા વધી છે. AMC દ્વારા શહેરના 60 પ્લોટમાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રહલાદનગર અને સિંધુ ભવન મલ્ટી લેવલ પાર્કિંગને પણ નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, જે રીતે મહાનગરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. મહાનગર પાલિકાના સિંધુભવન મલ્ટી લેવલ પાર્કિંગ, પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કીંગ, તદ્ઉપરાંત દાણાપીઠ ખાતેનું મલ્ટી લેવલ પાર્કિંગ આ બધા પાર્કિંગ જનતા માટે ખુલ્લા મુકેલા છે. તેમજ ટૂંક સમયમાં મધ્ય ઝોન દાણાપીઠમાં પણ પાર્કિંગ ખુલ્લુ મુકવામાં આવશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગ માટે જે 60 જેટલા પ્લોટ આપેલા છે તેમાં પણ 20 જેટલા પ્લોટનો આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે.
AMC દ્વારા સૌથી મહત્વનો નિર્ણય એવા કોમ્પ્લેક્સ અને મિલકતો સામે લેવાયો છે, જેમાં જે કોમ્પલેક્ષમાં બેઝમેન્ટ કે નિર્ધારિત જગ્યામાં પાર્કિંગની સુવિધા હોવા છતાં વાહનચાલકોને ત્યાં વાહન રાખવા દેવામાં આવતા નથી. AMC એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે:જો કોઈ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની જગ્યા હોવા છતાં તેનો ઉપયોગ અન્ય હેતુ માટે થતો હશે અથવા વાહનચાલકોને રોકવામાં આવશે, તો તેવી મિલકતોને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવશે.જેથી રોડ પર એકપણ વાહન રહે નહી અને સુરક્ષિત જગ્યાએ વાહનનું પાર્કિંગ થાય.
આ ઉપરાંત રસ્તા પર થતા પાર્કિંગને અટકાવવા ટ્રાફિક પોલીસ સાથે સંકલન સાધીને દંડની પ્રક્રિયા વધુ સખત કરાશે. તંત્રની આ કડક કાર્યવાહીથી ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે, જોકે સામે પક્ષે નાના-મોટા વેપારીઓમાં આ ઝુંબેશને લઈને ફફડાટ પણ જોવા મળી રહ્યો છે.


