અમદાવાદ : સાબરમતી રેલવે સ્ટેશન પર પુનર્વિકાસની કામગીરી અત્યંત ઝડપથી ચાલી રહી છે, જેમાં ધર્મનગર સાઈડના નવા સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. અન્ય વિકાસકાર્યોને ગતિ આપવા અને મુસાફરોની સુવિધા જાળવી રાખવા માટે રેલવે તંત્ર દ્વારા આગામી 20 જાન્યુઆરી 2026 થી 15 એપ્રિલ 2026 સુધી સ્ટેશન પર અવરજવર માટે નવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.
1. પ્રસ્થાન કરનાર મુસાફરો માટે પ્રવેશ અને નિકાસ વ્યવસ્થા
•પ્રવેશ દ્વાર (Entry Gate): મુસાફરોના વાહનોનો પ્રવેશ MMTS બિલ્ડિંગ (બુલેટ ટ્રેન સ્ટેશન) નજીક (ગ્રીન લાઇન) થી કરવામાં આવશે.
•મુસાફરો નવનિર્મિત સ્ટેશન બિલ્ડિંગમાં પ્રવેશ કરી લિફ્ટ, એસ્કેલેટર અને સીડીઓ દ્વારા સેકન્ડ ફ્લોર પરથી તમામ પ્લેટફોર્મ સુધી પહોંચી શકશે.
•મુસાફરોને ડ્રોપ કરવા આવેલા વાહનો વર્તમાન પ્રવેશ દ્વાર મારફતે બહાર નીકળી શકશે.
2. આગમન કરનાર મુસાફરો માટે નિકાસ અને પિક-અપ વ્યવસ્થા
• નિકાસ દ્વાર (Exit Gate): મહેસાણા સાઇડ ફૂટ ઓવર બ્રિજ નજીક (પર્પલ લાઇન)થી નિકાસની વ્યવસ્થા કરવામાં આવી છે.
• આ જ સ્થળે મુસાફરો માટે પિક-અપ ઝોન પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે.
3. પાર્કિંગ સુવિધા
• મુસાફરોની સુવિધા માટે નિકાસ દ્વાર નજીક બે સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
4. પ્લેટફોર્મ કનેક્ટિવિટી
• તમામ પ્લેટફોર્મ (PF-1 થી PF-7) બે ફૂટ ઓવર બ્રિજ દ્વારા પરસ્પર જોડાયેલા છે અને મહેસાણા સાઇડ ફૂટ ઓવર બ્રિજ પર તમામ પ્લેટફોર્મ પર મુસાફરો માટે લિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે.
5. નવી નિર્મિત સ્ટેશન બિલ્ડિંગમાં મુસાફર સુવિધાઓ
• ગ્રાઉન્ડ ફ્લોર(Ground Floor): અનારક્ષિત ટિકિટ બુકિંગ (UTS)
•પ્રથમ માળ (First Floor): આરક્ષિત ટિકિટ બુકિંગ (PRS)
• દ્વિતીય માળ (Second Floor): પ્રતીક્ષાલય
તમામ મુસાફરોને વિનંતી છે કે તેઓ નવી ટ્રાફિક વ્યવસ્થા, સૂચક ચિહ્નો તેમજ રેલવે, આરપીએફ અને રેલકર્મીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.


