અમદાવાદ : અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં આવેલા અમદાવાદ એન્જિનિયર્સમાં જય ભોલે ગ્રુપ દ્વારા 16 ફૂટ ઊંચું અને અંદાજે 600 કિલો વજન ધરાવતું દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂલ” તૈયાર કરવામાં આવ્યું છે. આ ત્રિશૂલ ઉત્તરકાશી (ઉત્તરાખંડ)માં આવેલા આશરે 1500 વર્ષ જૂના પવિત્ર અખંડ શક્તિ ત્રિશૂલથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યું છે, જે વિશ્વનાથ મંદિર નજીક ભાગીરથી નદીના કિનારે સ્થિત છે અને માતા આદ્યશક્તિનું પ્રતીક માનવામાં આવે છે.
આ ભવ્ય ત્રિશૂલની સ્થાપના બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આવેલા પ્રસિદ્ધ ત્રિશૂલિયા ઘાટ પર વિધિવત ધાર્મિક વિધિ સાથે કરવામાં આવશે. ત્રિશૂલિયા ઘાટ અંબાજી મંદિર નજીક આવેલો છે અને તેનું નામ પણ ત્રિશૂલ સાથે જોડાયેલું છે, જે આ સ્થાપનાને વધુ મહત્વ આપે છે. આ પ્રોજેક્ટ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ (SAAMDT) અને જય ભોલે ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સાકાર થઈ રહ્યો છે.
જય ભોલે ગ્રૂપે અંબાજીમાં અનેક ધાર્મિક અને સેવાલક્ષી પ્રોજેક્ટ્સમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત વિશ્વનું સૌથી મોટું ‘શ્રી યંત્ર’ પણ જૂથ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તેમનું યોગદાન મંદિરના શણગારથી લઈને વિવિધ સમુદાય સેવા પહેલો સુધીનું છે.
ત્રિશૂલનું ઉદ્ઘાટન બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ત્રિશૂલ શક્તિ પરંપરાના પુનર્જાગરણનું પ્રતીક બની રહ્યું છે અને તેના દ્વારા ગુજરાતમાં ઉત્તરકાશી જેવી દિવ્ય શક્તિનો અહેસાસ કરાવવાનો પ્રયાસ છે. શ્રદ્ધાળુઓ અને અમદાવાદના નગરજનો માટે ખુશખબર એ છે કે આ દિવ્ય ત્રિશૂલને અમદાવાદમાં દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે.
અમદાવાદીઓ માટે 18 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી બપોરે 3 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી અમદાવાદ એન્જિનિયર્સ, વટવા GIDC, ફેઝ-4માં ત્રિશૂલને ખુલ્લું મૂકવામાં આવશે. આ દરમિયાન ભક્તો મહાકાય ત્રિશૂલના દર્શન કરી શકશે અને આશીર્વાદ લઈ શકશે. ત્યારબાદ તેને પાલનપુર-દાંતા રોડ પર આવેલા ત્રિશૂલિયા ઘાટ ખાતે સ્થાપિત કરવામાં આવશે, જ્યાં તે આવનારા સમયમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર બનશે.
અંબાજી શક્તિપીઠ ભારતના 51 શક્તિપીઠોમાંથી એક છે અને અહીં માતા અંબાની અરાસુરી સ્વરૂપની પૂજા થાય છે. આ ત્રિશૂલની સ્થાપના અંબાજીના ઇતિહાસમાં નવો સુવર્ણ અધ્યાય ઉમેરશે અને શક્તિના પ્રતીક તરીકે ભક્તોને આધ્યાત્મિક બળ આપશે. જય ભોલે ગ્રુપના આ પ્રયાસથી ગુજરાત અને ઉત્તર ભારતની ધાર્મિક પરંપરાઓ વચ્ચે એક સેતુ બંધાશે.


