અમદાવાદ : અમદાવાદની સિવિલ હોસ્પિટલ જટિલમાં જટિલ સર્જરી થકી દર્દીઓને નવજીવન આપવા માટે દેશભરમાં જાણીતી છે. સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના ડોક્ટરોની અદ્ભુત કુશળતા અને ત્વરિત કાર્યવાહીથી 48 વર્ષીય મહિલાનું જીવન બચી ગયું. દર્દી સરૂબાલા રમેશચંદ્રને 20 દિવસ પહેલા દાંત સાફ કરતી વખતે અચાનક ખેંચ આવતા સેફ્ટી પીન ગળી ગઈ હતી, જે અન્નનળીમાં ફસાઈ ગઈ હતી. આવી ઘટનામાં વિલંબ જીવલેણ સાબિત થઈ શકે તેમ હતું, પરંતુ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ મહામહેનતે સેફ્ટી પીન બહાર કાઢી દર્દીને નવજીવન આપ્યું હતું.
૪૮ વર્ષીય મહિલા દર્દી સરૂબાલા રમેશચંદ્ર માનસિક બીમારી અને ખેંચની તકલીફથી પીડાય છે. 15 જાન્યુઆરીએ તેણીને સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવી હતી. એક્સ-રેમાં જાણવા મળ્યું કે સેફ્ટી પીન C-7 અને T-1 મણકાના સ્તરે અન્નનળીમાં ફસાયેલી છે, જે આંતરિક ઇજા અને રક્તસ્ત્રાવનો ગંભીર ખતરો ઊભો કરી રહી હતી.
16 જાન્યુઆરીએ ઈએનટી વિભાગના વડા ડૉ. ઈલા ઉપાધ્યાય અને એનેસ્થિસિયા વિભાગના ડૉ. ભાવના રાવલની ટીમે ઈસોફેગોસ્કોપી કરીને અત્યંત સાવચેતીપૂર્વક અને મહામહેનતે સેફ્ટી પીન બહાર કાઢી હતી. ઓપરેશન દરમિયાન અન્નનળીના અન્ય કોઈ ભાગને ઈજા ન થઈ, જે આવા કેસમાં અત્યંત જરૂરી હતું. ઓપરેશન પછી દર્દીની પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ ગઈ અને તેણી હવે મોઢેથી સામાન્ય રીતે ખાવા-પીવા લઈ શકે છે.
ડૉ. ઈલા ઉપાધ્યાયે આ કેસની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, “આવા કેસમાં સમયસર સારવાર અત્યંત મહત્વની છે. ખેંચની તકલીફ અને માનસિક બીમારી ધરાવતા દર્દીઓએ ધારદાર વસ્તુઓ જેમ કે સેફ્ટી પીન, પિન, કાંટા વગેરે મોંમાં રાખવાથી દૂર રહેવું જોઈએ. આ કેસમાં અમારી ટીમની તૈયારી અને કુશળતાએ દર્દીનું જીવન બચાવ્યું છે.”
આ ઘટના સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગની કુશળતા અને સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ અદ્યતન સારવારનું જીવંત ઉદાહરણ છે. ડોક્ટરોના પ્રયાસોથી દર્દી હવે સ્વસ્થ થઈ રહી છે અને પરિવારમાં રાહતનો માહોલ છે. આવા કેસોમાં જાગૃતિ અને ત્વરિત તબીબી મદદ અત્યંત જરૂરી છે.


