અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં માત્ર ‘ઉધાર’ આપવાની ના પાડતા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. પાન પાર્લર પર બે શખ્સો ઉધાર વસ્તુઓ લેવા માટે આવ્યા હતા. જ્યારે પાર્લરના માલિકે ઉધાર આપવાની ના પાડી, ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ ગઈ પાર્લરમાં તોડફોડ કરી દુકાન માલિક અને તેમના દીકરા પર જીવલેણ હુમલો કરી દીધો હતો.સાબરમતી પોલીસે આ અંગે બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં એક મુખ્ય આરોપીની ધરપકડ કરાઇ છે. અન્યને શોધવાની તપાસ તજવીજ ચાલુ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ ધીરજ પાન પાર્લર પર બે સ્થાનિક ઈસમો પાન-મસાલા લેવા માટે આવ્યા હતા. આરોપીઓએ પાર્લર સંચાલક પાસે ઉધારમાં સામાનની માંગણી કરી હતી. જોકે, પાર્લરના માલિકે રોકડેથી વ્યવહાર કરવાનું કહી ઉધાર આપવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. આ સામાન્ય બાબતથી ઉશ્કેરાયેલા બંને ઈસમોએ વેપારી સાથે બોલાચાલી શરૂ કરી હતી અને જોતજોતામાં મામલો બિચક્યો હતો.અને પાર્લરમાં રાખેલી વસ્તુઓની તોડફોડ શરૂ કરી દીધી. હુમલાખોરો એટલા બેફામ બની ગયા કે તેમણે દુકાન માલિક અને તેમના દીકરા પર જીવલેણ હુમલો કરી દીધો, જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઘટના બાદ ભોગ બનનાર વેપારીએ તાત્કાલિક સાબરમતી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અને વેપારીની ફરિયાદને આધારે બંને ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સાબરમતી પોલીસે સીસીટીવીમાં દેખાતા શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે અને એક મુખ્ય આરોપીની ધરપકડ કરાઇ છે. અન્યને શોધવાની તપાસ તજવીજ ચાલુ છે.


