અમદાવાદ : શહેરમાં વધુ એકવાર નશાખોર નબીરાએ નિર્દોષ લોકોનાં જીવ જોખમમાં મૂક્યા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના પોશ ગણાતા શીલજ-થલતેજ રોડ પર રવિવારની રાત્રે એક કિઆ (Kia) કારના ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી એક કે બે નહીં પરંતુ કુલ 9 વાહનોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરી જેના આધારે ઘટનાસ્થળે પોલીસ પહોંચી અને તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના શીલજ-થલતેજ રોડના વ્યસ્ત વિસ્તારમાં બન્યો છે. કિઆ કારના ચાલકે અચાનક કંટ્રોલ ગુમાવ્યો અને એક પછી એક 9 વાહનોને અડફેટે લીધા. આમાં બાઈક, ઓટોરિક્ષા, કાર અને અન્ય વાહનોનો સમાવેશ થાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કાર ચાલક નશામાં હતો, જેના કારણે તેણે વાહનનું નિયંત્રણ ગુમાવ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલકને સ્થાનિક લોકોએ રોકી રાખ્યો હતો અને પોલીસને તાત્કાલિક જાણ કરી હતી.આ દરમિયાન કિયા કાર ચાલકના ડ્રાઈવરને પણ લોકોએ પકડી લીધો હતો. જોકે, ડ્રાઈવર એટલો નશામાં ધૂત હતો કે તે પોતાના પગ ઉપર ઉભો પણ રહી શકતો નહતો.પોલીસે ઘટનાસ્થળે પહોંચીને CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો લીધા છે.
કાર ચાલકનો નશો તપાસવા માટે તેનું બ્લડ ટેસ્ટ કરાવવાની તજવીજ કરવામાં આવી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલુ છે. પોલીસે કાર ચાલક સામે IPCની કલમ 279 (લાપરવાહીથી વાહન ચલાવવું), 337 (જોખમ પહોંચાડવું), 338 (ગંભીર ઈજા પહોંચાડવી) અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. નશામાં વાહન ચલાવવાનું સાબિત થાય તો કડક કાર્યવાહી થશે.
આ અકસ્માતે શહેરના આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને રોડ સેફ્ટી પર પ્રશ્નો ઉભા કર્યા છે. નિષ્ણાતોના મતે, નશામાં વાહન ચલાવવું દર વર્ષે અનેક અકસ્માતોનું મુખ્ય કારણ બને છે અને આવા કેસમાં કડક કાયદાકીય કાર્યવાહી જરૂરી છે. સરકાર અને પોલીસ લોકોને અપીલ કરી રહી છે કે નશામાં વાહન ન ચલાવે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે. જોકે, તેની અત્યાર સુધીમાં કોઈ અસર થઈ નથી. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.


