અમદાવાદ : અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના નારણપુરા વિસ્તારમાં બની છે. સોલા રોડ પરના ભૂયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી નેશનલ સ્કૂલની બહાર આજે સવારે ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભરબજારમાં થયેલા આ હુમલાને પગલે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરામાં સોલા રોડ પરના ભૂયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી નેશનલ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે મારી રહ્યું છે. સ્કૂલની 100 મીટરના અંતરમાં જ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 3 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. ગુંડાઓને પણ એક તરફ મુકી દે તેવી કરતૂત ધોરણ 10ના વિદ્યાર્થીઓએ કરી છે. આ ગેંગવોરના દૃશ્યો જોઈ કોઈ ન કહે કે આ ધો.10ના વિદ્યાર્થીઓ હશેે.
જૂની અદાવત બની હુમલાનું કારણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હુમલા પાછળ ચાર મહિના જૂની અદાવત જવાબદાર છે. શાળામાં જ ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ જૂની તકરારની અદાવત રાખીને આજે સવારે જ્યારે વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો, ત્યારે હુમલાખોર વિદ્યાર્થીએ અન્ય સાથીદારો સાથે મળીને તેના પર હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા હુમલાખોરે છરી કાઢી વિદ્યાર્થી પર ઘા ઝીંકી દીધા હતા.
આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે આગળની કાર્યવાહી ચાલી રહી છે.શાળાની બહાર ધોળા દિવસે બનેલી આ ઘટનાએ વાલીઓની ચિંતામાં પણ વધારો કર્યો છે.
અમદાવાદ સિટીના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, ‘નેશનલ સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની પરીક્ષા પૂરી થઈ અને બહાર નીકળ્યા પછી અન્ય યુવકો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે તેવું નેશનલ સ્કૂલના સંચાલકે ટેલિફોનિક પૂછતાછ કરતા માહિતી મળી છે. પ્રાથમિક માહિતીમાં સંચાલક દ્વારા જે રીતે જણાવવામાં આવેલું છે તે પ્રમાણે વિદ્યાર્થી જે છે શાળાનો જે ઈજાગ્રસ્ત છે તેને નજીકની હોસ્પિટલમાં એને સારવાર આપી અને એને રજા પણ આપવામાં આવી છે.’


