અમદાવાદ : ગુજરાતના બે અલગ-અલગ વિસ્તારોમાં પાણીની ટાંકી સંબંધિત બનેલી ઘટનાઓએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. એક તરફ અમદાવાદમાં 75 વર્ષ જૂની પાણીની ટાંકી એટલી મજબૂત સાબિત થઈ કે તેને તોડવા માટે 8 ટન વજનનું JCB મશીન ક્રેનથી ઉપર ચડાવવું પડ્યું, જ્યારે બીજી તરફ સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા (તડકેશ્વર) ગામમાં 21 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી નવી નક્કોર પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન જ પાણીમાં બેસી ગઈ.આ બંને ઘટનાઓએ જૂના અને નવા બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સાથે જ ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપો પણ તેજ બન્યા છે.
અમદાવાદના સારંગપુર સર્કલ પાસે 10 માળના બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી હતી. આ ટાંકી 75 વર્ષ જૂની હતી. એને તોડવાનું શરૂ થયું, પણ કામ એટલું મજબૂત કે તૂટે જ નહિ. એને તોડવા માટે 8 ટન વજનનું JCB મશીન ક્રેનથી ઉપર ચડાવવું પડ્યું હતું.શરૂઆતમાં મજૂરો દ્વારા હથોડા અને સાધનો વડે ટાંકી તોડવાનો પ્રયાસ કરાયો, પરંતુ બાંધકામ એટલું મજબૂત હતું કે મજૂરોના હથોડા પણ બેકાર સાબિત થયા.
અંતે, ટાંકીના ઉપરના ભાગને તોડવા માટે 13 જાન્યુઆરીએ 8 ટન વજનનું JCB મશીન મોટી ક્રેન મારફતે ટાંકી ઉપર ચડાવવું પડ્યું.સારંગપુર વિસ્તારમાં જ્યારે લોકો દૂરથી પાણીની ટાંકી (Tank)ઉપર JCB મશીન જોયું, ત્યારે અનેક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા. લોકો ચર્ચા કરવા લાગ્યા કે 75 વર્ષ પહેલાં થયેલું બાંધકામ કેટલું મજબૂત હશે કે તેને તોડવા માટે આટલી ભારે મશીનરીનો સહારો લેવો પડે છે.
બીજી તરફ સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ધામ છે, એ તડકેશ્વર ગામમાં 21 કરોડના તોતિંગ ખર્ચે પાણીની મસમોટી ટાંકી બનાવાઈ. ટાંકી બની તો ગઈ, પણ ટ્રાયલ માટે પાણી ભરવામાં આવતું હતું ત્યાં આપમેળે જ લોંદાની જેમ કડડડભૂસ થઈને બેસી પડી. હવે વિચારો… 75 વર્ષ પહેલાં કેટલું મજબૂત કામ થયું હશે ને આ નવુંનક્કોર કામ કેટલું નબળું હશે!
હવે આ મુદ્દે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે, જાગૃત નાગરિકો બંને પાણીની ટાંકી વિશે બાંધકામની ગુણવત્તા વિશે સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષોએ બંને ઘટનાઓને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ કરી નવી ચર્ચા જગાવી છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ X પર પોસ્ટ કરી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે.


