અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની વિચાર્યા વિનાની કામગીરી એકવાર ફરી ચર્ચાના કેન્દ્રમાં છે. શહેરના વ્યસ્ત રહેતા એવા CG રોડ પર ચાલી રહેલી રોડ-ફૂટપાથની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. 18 મીટર પહોળો રોડ અડધા રસ્તામાં જ ફૂટપાથ બનાવી દેવાથી હવે 18 મીટર પહોળો રસ્તો માત્ર 9 મીટરનો રહી ગયો છે. જેને લઈને ભાજપના પદાધિકારીઓ દ્વારા રોડ બનાવવાની કામગીરીને બંધ કરાવવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સેવા સમાજ પાસે CG રોડ પર ગિરીશ કોલડ્રિન્ક પાછળ ચાલી રહેલી કામગીરીમાં કોન્ટ્રાક્ટરે 9 મીટરના રોડ પર 3.5 મીટર પહોળી ફૂટપાથ ઊભી કરાતા રસ્તો સાંકડો થઈ ગયો છે. પરિણામે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિક જામની સમસ્યા ઉદભવે એવા રોડ બનાવવાની કામગીરી કરતા ભાજપના પદાધિકારીઓ દ્વારા રોડ બનાવવાની કામગીરીને બંધ કરાવવામાં આવી છે. આ સમગ્ર મામલે કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સ્થળ પર નિરીક્ષણ કરી હયાત રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને લઈ કામગીરી કરવા સૂચના આપી છે.
અમદાવાદમાં ગિરીશ કોલ્ડ્રીંક્સથી મીઠાખળી જવાના રોડ પર તૈયાર થઇ રહેલા ફૂટપાથને મોટો બનાવી દેતા રોડ પર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ત્યારે આ બાબત સત્તાધીશોના ધ્યાને આવતા તેઓ ખુદ ઘટના સ્થળે પહોંચી ગયેલા. કારણ કે 9 મીટરના રોડ પર 3.5 મીટરની ફૂટપાથ બનાવી દેતા રોડ સાવ સાંકડો થઈ ગયો છે. જેના લીધે લોકોને ભારે હાલાકી પડી રહી છે.
શહેરમાં અનેક જગ્યાએ રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે જેમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા કામગીરી થતી હોય છે. ભાજપના નેતાઓ દ્વારા રોડ કમિટીમાં રોડ મંજૂર કરાવી દેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કેવો રોડ બનશે તે અંગે કોઈ યોગ્ય ચકાસણી થતી નથી. ભાજપના નેતાઓએ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જે રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેના ઉપર બ્રેક લગાવી દીધી છે.


