અમદાવાદ : શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો પરિવાર સામાજિક પ્રસંગમાં રાજકોટ ખાતે ગયો હતો અને તસ્કરો ત્રાટક્યા હતા, દરમિયાન બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી લઈ ઘરમાંથી સોના ચાંદીના 13 લાખથી વધુના દાગીનાની ચોરી થઈ હતી. પરિવાર જ્યારે પરત આવ્યો ત્યારે ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા ધાબા ઉપરની વેન્ટિલેશન જાળીનો કાચ ખોલીને ચોર ઘરમાં આવ્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે ઘાટલોડીયા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઘાટલોડિયામાં રહેતા સંકેત ઠક્કર આયુર્વેદિક કંપનીમાં કમિશન પર વેપાર કરે છે. 22 જાન્યુઆરી રોજ તેઓ તેમના પરિવાર સાથે રાજકોટ જનોઈના પ્રસંગમાં ગયા હતા. તેઓ જ્યારે 25 જાન્યુઆરીએ સાંજે ઘરે આવ્યા ત્યારે ઘરની અંદર જઈને જોયું તો બેડરૂમમાં કબાટના દરવાજા ખુલ્લા હતા અને સામાન વેરવિખેર પડેલો હતો. જેથી તેમણે ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી. સંકેતભાઈએ ઉપરના માટે જઈને ત્રણે બેડરૂમના તપાસ કરતા તેમના પિતાજીના બેડરૂમમાંથી કબાટનું ખાનુ ખુલ્લું હતું.
કબાટમાંથી સોના ચાંદીના લાખો રૂપિયાના દાગીનાની ચોરી થઈ હતી. તેમણે તપાસ કરી ત્યારે 12.70 લાખના સોનાના દાગીના અને 33,000ના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. ચોર ધાબા પરથી વેન્ટિલેશનની જાળીનો કાચ ખોલીને આવ્યો હતો. ચોરીની જાણ થતા સંકેતભાઈના માતાની તબિયત ખરાબ થઈ ગઈ હતી.સંકેતભાઈએ ચોરી અંગે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


