અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં આજે સાંજે આઠમા માળે આગ લાગતા અફરા તફરી મચી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યુ છે. આઠમા માળે રહેતા તરુણભાઇ નામના વ્યક્તિના ફ્લેટમાં આ આગ લાગી હતી. અમદાવાદ ફાયર વિભાગને ઘટનાની જાણ થતા તાત્કાલિક પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, વસ્ત્રાપુર સરકારી લાયબ્રેરી સામે આવેલી સરકારી વસાહતમાં આજે 3 ફેબ્રુઆરીના રોજ 8મા માળે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર વિભાગે તાત્કાલિક રવાના થઈ ઝડપી કામગીરી હાથ ધરી હતી. સ્થળ પર એક વોટર બાઉઝર (20 KL), એક ફાયર ફાઇટર, ચાર ફર્સ્ટ રિસ્પોન્ડર અને એક H.P.L. સહિત કુલ 7 ફાયર વાહનો મોકલવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં આગ અને ધુમાડો વધુ થયો હતો જેથી પાણીનો મારો ચલાવ્યો હતો.
આ સમગ્ર ઘટનામાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે 10 વર્ષની નાની બાળકી ‘વિશ્વા’ આગ લાગેલી ઈમારતમાં ફસાઈ ગઈ હતી. ધુમાડા અને ગભરાટભરી પરિસ્થિતિ વચ્ચે ફાયર જવાનો બહાદુરીપૂર્વક ઉપર પહોંચી બાળકીનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને તેને સહીસલામત બહાર લાવ્યા હતા. સમયસરની આ કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને આસપાસના રહેવાસીઓએ પણ ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી.
પ્રાથમિક અંદાજ મુજબ રૂ. 50 હજાર જેટલું માલમત્તાનું નુકસાન નોંધાયું છે. સદનસીબે કોઈ જાનહાની કે ઇજાની ઘટના બની નથી. વીમા અંગે હજી સ્પષ્ટ માહિતી મળી નથી.


