અમદાવાદ : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ચોરીના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે હવે તસ્કરોએ નારણપુરા સ્થિત હવામાન વિભાગની કચેરીને નિશાન બનાવી છે. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવેલા ‘એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન’ (AQMS)માં ચોરોએ બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ કચેરીમાંથી નાઇટ્રોજન સિલિન્ડર, બેટરી, એમજીસી મશીન, પંપ અને યુપીએસ ચાર્જર સહિત કુલ 4.65 લાખ રૂપિયાના કિંમતી સાધનોની ચોરી કરી પલાયન થઈ ગયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હવામાન વિભાગના એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન (એક્યુએમએસ)માં એક્ઝિક્યુટિવ એન્જીનીયર સુધીર વિશ્વરકર્માએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે નારણપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવેલા હવામાન વિભાગના એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન (એક્યુએમએસ)માં રાબેદા મુજબ સુધીરે સર્વરનો ડેટા ચેક કરવાનું શરૂ કર્યુ હતું. દરમિયાનમાં તેઓને જાણવાં મળ્યું હતું કે, સરદાર પટેલ સ્ટેડીયમ ખાતેના સ્ટેશનનીં સિસ્ટમ બંઘ છે. પાવર કટ થયો હોવાના કારણે સિસ્ટમ બંધ થઈ હોવાની વિચારીને કોઈ તપાસ કરી નહી. સ્ટેશનની સિસ્ટમ શરુ નહી થતા સુધીરને શંકા ગઈ હતી. જેથી તે તરતજ સ્ટેશન પહોચી ગયા હતા. એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન પર ગયા ત્યારે એક બારી તુટેલી હાલતમાં હતી.
સુધીર ઓફિસમાં જઈને ચેક કર્યુ તો સામાન વેરવિખેર પડ્યો હતો. સુધીરને શંકા થઈ ગઈ હતી કે તસ્કરોએ ઘુસીને ચોરી કરી છે. સ્ટાફે તપાસ કરી તો તેને ખબર પડીકે તસ્કરોએ નાઈટ્રોજન સિલિન્ડર, બેટરી, એમજીસી મશીન, પંપ, યુપીએસ ચાર્જર સહિત કુલ 4.65 લાખના મત્તાની ચોરી થઈ હતી. સુધીરે આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીને નારણપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી હતી.પોલીસે આ મામલે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


