અમદાવાદ : અમદાવાદમાં એસપી રીંગ રોડ પર મહત્વનો કટ બંધ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ નિર્ણયના વિરોધમાં આજે સવારે સ્થાનિક રહીશો અને વેપારીઓએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યું હતું. સાથે જ સહી ઝુંબેશ ચલાવીને તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાને પગલે એસપી રીંગ રોડ પર લાંબા સમય સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ,અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જવાના રોડ ઉપર હોટેલ હિલ્લોક નજીકનો ડિવાઈડર કટ ઔડા-પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે થઈ ન્યુ ત્રાગડ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. ત્યારે આજે ડિવાઈડર કટને ખોલવા માટે સ્થાનિક નાગરિકો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન કરવામાં આવ્યું છે. લોકોને ત્રણથી ચાર કિલોમીટર ફરીને જવું પડતું હોવાના કારણે હાલાકી પડી રહી છે, આ ડિવાઈડર કટ બંધ થવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વિરોધ દરમિયાન મહિલાઓ, વૃદ્ધો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. “કટ બંધ કરવાથી અકસ્માત ઓછા નહીં, પરંતુ અવ્યવસ્થા વધશે,” તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. સહી ઝુંબેશ મારફતે સ્થાનિકોએ કટ ફરી શરૂ કરવાની માંગ સાથે રજૂઆત કરવાની તૈયારી બતાવી હતી. કેટલાક લોકોએ આ નિર્ણય લેવાતા પહેલા સ્થાનિકો સાથે ચર્ચા ન કરાઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
રહીશોએ આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રી અને સ્થાનિક કોર્પોરેટરોને પણ લેખિતમાં રજૂઆતો કરી છે. જોકે, તંત્ર દ્વારા તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. પરિણામે, ટ્રાફિકની ગંભીર સમસ્યાથી કંટાળેલા નાગરિકોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. વહેલી તકે આ ડિવાઈડર કટ ફરીથી ખોલવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
ખાસ કરીને ન્યુ ત્રાગડના રહીશોને વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જવા માટે આ કટ ખૂબ જ અનુકૂળ રહેતો હતો. વિરોધ કરી રહેલી મહિલાઓએ સીધો સવાલ ઉઠાવ્યો છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મામલે કેમ રસ નથી લેતા. સ્થાનિકોનું કહેવું છે કે ટ્રાફિકની સમસ્યાના બહાને કટ બંધ કરવાને બદલે ત્યાં ટ્રાફિક સિગ્નલ મૂકવાની જરૂર છે.


