અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાલતુ પ્રાણીઓ પ્રત્યે સંવેદના દાખવતા ગુજરાતના પ્રથમ અત્યાધુનિક CNG આધારિત ‘પેટ ડોગ ક્રિમેટોરિયમ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના CNCD એબીસી સેન્ટર, જમાલપુર ચાર રસ્તાથી ખોડિયારનગર ચાર રસ્તા રોડ, સુએજ પમ્પિંગ સ્ટેશન કેમ્પસ, બહેરામપુરા ખાતે શ્રી નોર્થ ઈસ્ટ મશીન કરમસદ એજન્સી દ્વારા 30 લાખના ખર્ચે CNG ગેસ સંચાલતિ ડોગ સ્મશાનગૃહ (એનિમલ ક્રિમેટર) કાર્યરત કરાયું છે, જોકે CCTV સુવિધા સાથે પેટ ડોગ ઓનર્સ તેમના પેટ ડોગની અંતિમવિધિ હવે ઘેરબેઠાં પણ જોઈ શખશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી (CNCD) વિભાગ દ્વારા બહેરામપુરા ખાતે નોર્થ ઇસ્ટ મશીન કરમસદ એજન્સી દ્વારા રૂ. 30 લાખના ખર્ચે CNG ગેસ સંચાલિત ડોગ ક્રિમેટોરિયમ (એનિમલ ક્રિમેટર) કાર્યરત કરાયું છે. આ સ્મશાનગૃહમાં એકસાથે 3 શ્વાનના અંતિમ સંસ્કાર કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને આ પ્લાન્ટને સંપૂર્ણપણે ગેસ આધારિત રાખવામાં આવ્યો છે, જેના કારણે તે ધુમાડા રહિત અને દુર્ગંધ રહિત છે. વિધિ પૂર્ણ થયા બાદ માલિકોને શ્વાનની અસ્થિ અને રાખ પણ સન્માનપૂર્વક પરત કરવામાં આવશે.
આ ક્રિમેટોરિયમના ઉપયોગની પ્રક્રિયા સરળ છે, જેમાં પેટ ડોગના મૃત્યુની જાણ 155303 પર ફોન કરી જાણ કરવાની હોય છે, તેમજ પેટ ડોગના રજીસ્ટ્રેશનની રસીદ મોકલવાની રહે છે. આ ઉપરાંત ખાતાની અંતિમ ધામ જીવ સેવા રથ, ફુલહાર, પૂજા સામગ્રી સાથે મૃત ડોગ્સના સ્થળ પર માલિકની મુલાકાત લઇ પેટ ડોગ્સની વિધિવત માલિક દ્વારા તેના ઘરે પૂજા વિધિ, ફુલહાર કરી પેટ ડોગને સન્માનપૂર્વક ક્રિમેટોરિયમ ખાતે લાવવામાં આવે છે.
ટેકનોલોજીના સમન્વય સાથે CCTV સુવિધા હોવાના કારણે પેટ ડોગ ઓનર પોતાના ઘેરબેઠાં પોતાના પેટ ડોગની અંતિમવિધિ જોઈ શકે છે. મૃત શ્વાનનાં પરિવારજનો માટે 6 સીટિંગ બાકડાની વ્યવસ્થા છે તેમજ પેટ ડોગની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ એનાં અસ્થિ/રાખને માટલીમાં ભરી લાલ કપડામાં મૂકીને સન્માનપૂર્વક પેટ ડોગ ઓનરને તેમના ઘરે સુધી આપવાની સુવિધા છે.જે અત્યાર સુધી માત્ર મોટા મેટ્રો શહેરોમાં જ જોવા મળતી હતી.
નિષ્ણાતોના મતે, શહેરી વિસ્તારોમાં પાલતુ પ્રાણીઓના મૃત્યુ બાદ તેમના નિકાલ માટે માલિકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેના કારણે ઘણીવાર જાહેર આરોગ્યના પ્રશ્નો પણ ઊભા થતા હતા. આ વ્યવસ્થાથી હવે માત્ર ભાવનાત્મક જ નહીં પણ આરોગ્યપ્રદ રીતે પણ શહેરને ફાયદો થશે. અમદાવાદની આ પહેલ આગામી સમયમાં રાજ્યના અન્ય મહાનગરો માટે પણ એક મોડેલ સાબિત થઈ શકે છે. કોર્પોરેશનના આ નિર્ણયથી હજારો પેટ લવર્સને રાહત મળી છે, જેઓ પોતાના પાલતુ પ્રાણીને પરિવારના સભ્ય સમાન ગણે છે.


