અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં આવેલી પ્રખ્યાત ITC નર્મદા હોટલની બાજુમાં સ્થિત ‘શિવાલિક’ બિલ્ડિંગમાં આજે બપોરે અચાનક આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. આ બિલ્ડિંગ કોમર્શિયલ હોવાથી આગ લાગી ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આગના ધૂમાડાના ગોટેગોટા બિલ્ડિંગના 8 મા અને 9મા માળે પ્રસરી જતા ત્યાં કામ કરતા અનેક લોકો ફસાઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, વસ્ત્રાપુરમાં આવેલ શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે ચોથા ફ્લોર પર આવેલી 406 નંબરની રિયલ એસ્ટેટ ઓફિસમાં લાગી હતી. ઓફિસના ફર્નિચરમાં આગ લાગતા સ્થળ પર ભારે ધુમાડો ફેલાયો હતો.આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવના કારણે બિલ્ડિંગમાં કેટલાક લોકો ફસાયા હતા. ફાયર વિભાગની 8 થી 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. છે. જેમાં ફાયરની ટીમ દ્વારા 100 જેટલાં લોકોનું રેસ્ક્યુ કરાયા હતા, સદભાગ્યે ઘટનામાં કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી તેમજ કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ધુમાડો વધુ ફેલાઈ જતાં ફાયર ફાઇટરોએ ફોર્સ વેન્ટિલેશન કરી અંદર ભરાયેલો ધુમાડો બહાર કાઢ્યો હતો.અંદાજે એક કલાક સુધી ચાલેલી ફાયર ફાઇટિંગ કામગીરી બાદ આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી હતી.મહત્વપૂર્ણ વાત એ રહી કે બિલ્ડિંગની ફાયર સિસ્ટમ કાર્યરત હાલતમાં હોવાથી આગને ઝડપી કાબૂમાં લેવા મદદ મળી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.


