અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને માનસિક, શૈક્ષણિક અને માર્ગદર્શન સહાય મળી રહે તે માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ ટોલ ફ્રી હેલ્પલાઇન 12 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026 સુધી કાર્યરત રહેશે. ત્યારે શિક્ષણ વિભાગના આદેશને પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ હેલ્પલાઇન નંબર 9909922648 જાહેર કર્યો છે. 9909922648 હેલ્પલાઇન નંબર પર વિદ્યાર્થીઓને સબ્જેક્ટને લગતા કે સાયકોલોજીકલ પ્રશ્નોનો ઉકેલ મળશે.વિદ્યાર્થીઓને હેલ્પલાઇન પર વોટ્સએપના માધ્યમથી ઉકેલ મળશે.હેલ્પલાઇનનો સમય દરરોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા સુધીનો રહેશે. આ સેવા દરમિયાન અનુભવી શિક્ષકો, માર્ગદર્શકો અને કાઉન્સેલરો વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપશે, જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પોતાની તૈયારી કરી શકે.
DEO કચેરીએ વિદ્યાર્થીઓની સમસ્યાના ઉકેલ માટે કન્ટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. જેના દ્વારા એક્સપર્ટ અને સાયકોલોજીસ્ટની ટિમ વિદ્યાર્થીઓને કોલ કરી માર્ગદર્શન આપશે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓને સાયકોલોજીકલ સમસ્યા વધારે જોવા મળતી હોય છે. વાંચું છું પણ યાદ રહેતું નથી. મને પરીક્ષાનો ડર સતાવે છે જેવા પ્રશ્નો વધારે પડતા હોય છે. જેના માટે અમારી સાયકોલોજીસ્ટની ટીમ વિદ્યાર્થીઓને કોલ કરી તેઓનો ડર દૂર કરે છે અને પરીક્ષા માટે માર્ગદર્શન આપે છે.
એવી જ રીતે જો કોઈ વિદ્યાર્થીઓના વિષયને લાગતા પ્રશ્નો હોય તો તેના માટે વિષયને લગતા એકપર્ટ વિદ્યાર્થીઓનો વોટ્સએપ મેસેજ આવતા જે તે વિદ્યાર્થીઓને કોલ કરી વિષયને લગતું માર્ગદર્શન આપે છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ અપીલ કરવામાં આવી છે કે, પરીક્ષાને લગતી કોઈપણ સમસ્યા હોય તો આ હેલ્પલાઇનનો સંપર્ક કરે.


