અમદાવાદ : આગામી સમયમાં યોજાનારી ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને, શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક મંદિર અને સિદ્ધિવિનાયક સેવા સંઘ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક સુંદર પહેલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈને અને દાદાના આશીર્વાદ સાથે પરીક્ષા આપી શકે તે હેતુથી મંદિરે પેન વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, દર વર્ષની જેમ આ વર્ષે પણ સિદ્ધિવિનાયક સેવા સંઘ દ્વારા ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ની બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ખાસ પૂજા કરાયેલ અને દાદાના આશીર્વાદ સાથે પરીક્ષા આપી શકે તે હેતુથી મંદિરે પેન વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.સિદ્ધિવિનાયક સેવા સંઘ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તારીખ 20 ફેબ્રુઆરી 2025, શુક્રવારથી આ વિતરણ કાર્યક્રમ શરૂ થશે. જે સમગ્ર પરીક્ષા દરમિયાન ચાલુ રહેશે.
દાદાના આશીર્વાદ રૂપે આપવામાં આવતી આ પેન મેળવવા માટે દરેક વિદ્યાર્થીએ પોતાની પરીક્ષાની રિસીપ્ટ (હોલ ટિકિટ) સાથે લાવવાની રહેશે. સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી પરીક્ષાઓ ચાલશે ત્યાં સુધી વિદ્યાર્થીઓને પેન આપવામાં આવશે. આ ઉમદા કાર્યનો લાભ લેવા માટે આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
પેન વિતરણનો સમય:
રોજિંદા સમય: સવારે 9:00 થી 12:00 કલાક સુધી અને સાંજે 5:00 થી 8:00 કલાક સુધી.
મંગળવાર: મંગળવારના પાવન દિવસે આખો દિવસ પેન વિતરણ કરવામાં આવશે.


