અમદાવાદ: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં લોહીના સંબંધોને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. અહીં એક યુવતીએ પોતાના જ માસીના દીકરાના ઘરે મહેમાન બનીને આવી, વિશ્વાસનો લાભ ઉઠાવી 8.10 લાખની કિંમતના સોનાના દાગીના પર હાથફેરો કર્યો છે. કપડાં બદલવાના બહાને બેડરૂમમાં ઘૂસીને આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાની ફરિયાદ નારણપુરા પોલીસ મથકે નોંધાઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરામાં આવેલા શુભલક્ષ્મી ટાવરમાં રહેતા જીનલભાઈ શાહ, જેઓ વ્યવસાયે વીમા એજન્ટ છે, તેમના ઘરે ગત 8 ફેબ્રુઆરીએ તેમની માસીની દીકરી માનસી દોષી આવી હતી. માનસીએ શરૂઆતમાં પોતે આર્થિક મુશ્કેલીમાં હોવાનું જણાવી બે સોનાની વીંટી ગિરવે મૂકીને 70 હજારની મદદ માંગી હતી. જોકે, વીંટીનું વજન ઓછું હોવાથી જીનલભાઈના પરિવારે મદદ કરવાની ના પાડી વીંટી પરત આપી દીધી હતી.
થોડીવાર વાતચીત કર્યા બાદ માનસીએ જણાવ્યું કે, તેણે ભક્તિમાં જવાનું હોવાથી કપડાં બદલવા છે. આ બહાને તે બેડરૂમમાં ગઈ હતી. ઘણો સમય પસાર થઈ જવા છતાં તે બહાર ન આવતા પરિવારને શંકા ગઈ હતી. જોકે, થોડીવારમાં તે બહાર આવી અને “મારી રિક્ષા આવી ગઈ છે” તેમ કહી ઉતાવળે ત્યાંથી નીકળી ગઈ હતી.
ચોરીની આ ઘટનાની જાણ પરિવારને ચાર દિવસ બાદ થઈ હતી. જ્યારે જીનલભાઈની માતાએ કબાટ ખોલ્યો ત્યારે અંદરનો સામાન વેરવિખેર પડ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે, કબાટમાંથી બે સોનાની બંગડી, એક મંગળસૂત્ર અને બે સોનાની વીંટી સહિત કુલ 8.10 લાખના દાગીના ગાયબ હતા.
પરિવારને ખાતરી થઈ ગઈ હતી કે બેડરૂમમાં કપડાં બદલવાના બહાને માનસીએ જ કબાટમાંથી દાગીના ચોર્યા છે. આ મામલે જીનલભાઈએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં માનસી દોષી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપી યુવતીની શોધખોળ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


