અમદાવાદ શહેરમાં ચોરી અને લૂટફાટની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. તેવામાં નારણપુરા અને ઘાટલોડિયામાં થયેલી અલગ અલગ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. નારણપુરામાં મહિલાની ધરપકડ કરી 8.1 લાખના સોનાના દાગીના જપ્ત કર્યા છે. જ્યારે અન્ય એક ઘાટલોડિયા ચોરી કેસમાં LCB એ રાજસ્થાનના એક વ્યક્તિની ધરપકડ કરી ₹38.63 લાખના ઘરેણાં જપ્ત કર્યા છે
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરા પોલીસે ફરિયાદ નોંધાયાના થોડા જ દિવસોમાં એક ઘરમાં ચોરીનો કેસ ઉકેલી નાખ્યો છે, જેમાં 40 વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી છે, 8.1 લાખના ચોરાયેલા સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. નારણપુરામાં સંઘવી હાઇસ્કૂલની સામે શુભલક્ષ્મી ટાવરમાં રહેતા જીનલ ચંદ્રકાંતભાઇ શાહ (37)ના ઘરે ચોરી થઈ હતી. જેની ફરિયાદ 14 ફેબ્રુઆરીના રોજ નારણપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી.ફરિયાદ મુજબ માનસી કપડાં બદલવાના બહાને તેની માતાના બેડરૂમમાં ઘૂસી ગઈ હતી.જ્યારે માતાએ કબાટ ખોલ્યું ત્યારે ખબર પડી કે ઘણા સોનાના દાગીના તેમાંથી ગાયબ થઈ ગયા છે.
જયારે બીજા એક કેસમાં ઘાટલોડિયામાં આવેલી ન્યુ નિકીતાપાર્ક સોસાયટીમાં રહેતા સંકેતભાઈ ઠક્કર ગત તા. 22 જાન્યુઆરીએ પરિવારજનો સાથે રાજકોટ ખાતે મામાની દીકરીના દીકરાની જનોઈના પ્રસંગમાં ગયા હતા.ત્રણેક દિવસ બાદ આ પરિવાર પરત આવ્યો ત્યારે ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી.ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધ્યા બાદ ઝોન-1 એલસીબી પીએસઆઇ જી. કે. ચાવડાની ટીમે ચારેય દિશાના 200થી વધુ સીસીટીવી તપાસ્યા હતા. જેમાં ત્રણ લોકો એક બાઇક પર ચોરી કરવા આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બાઇકના નંબર આધારે તપાસ કરતા ત્રણ પૈકી એક રીઢા ચોરની ઓળખ થઇ હતી. જે ગેંગ રાજસ્થાનની હોવાનું સામે આવતા પોલીસે રાજસ્થાન ખાતે તપાસ કરીને દિનેશ મીણા નામના આરોપીને ઝડપી લીધો છે.
ધરપકડ કરાયેલ આરોપી પાસેથી પોલીસે 37.39 લાખના સોનાના દાગીના, 84,255ના ચાંદીના દાગીના, 30,000ની કિંમતની મોટરસાઇકલ, 10,000નો મોબાઇલ ફોન કુલ મળીને 38.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફરાર બે આરોપી, રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી કમલેશ ગંગારામ કલાસુવા અને ઈશ્વર શંકર મીણા તરીકે પોલીસે બે અન્ય આરોપીઓની ઓળખ કરી લીધી છે, તેમણે ઝડપી લેવા માટેની તજવીજ ચાલુ છે. આરોપીઓ અમદાવાદ કે આસપાસના જિલ્લાઓમાં ઘરફોડ ચોરીના અન્ય કેસોમાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.


