અમદાવાદ : શહેરના નવા વાડજ નેશનલ હેન્ડલૂમ પાસે મોડી રાત્રે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કાર પલટી જતા કારચાલક ઇજાગ્રસ્ત થયો હતો. જોકે આ ઘટનામાં વધુ કોઈ જાનહાનિ થઈ નથી. જયારે બીજી ઘટનામાં ખોડિયાર નગર વિસ્તારમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી, જેમાં સ્કૂલના બાળકો ભરેલી એક વાન અકસ્માતનો ભોગ બની હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ મામલે હાલ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નવા વાડજમાં મોડી રાત્રે નેશનલ હેન્ડલૂમ પાસેના રોડ પર પૂરઝડપે આવી રહેલી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે અથડામણ બાદ એક કાર રસ્તા પર પલટી મારી ગઈ હતી. રાત્રિના સમયે અચાનક થયેલા ધડાકાને પગલે આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
આ અકસ્માતમાં કાર પલટી ખાઈ જવાને કારણે કારચાલકને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક કારમાં ફસાયેલા ચાલકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. રાહતની વાત એ છે કે આટલા ભયાનક અકસ્માત છતાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું નથી અને મોટી જાનહાનિ ટળી છે.
જયારે બીજી ઘટનામાં શહેરના ખોડિયાર નગર બ્રિજ પાસે સવારના સમયે દિવાન બલ્લુભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી એક સ્કૂલ વાન અચાનક બેકાબૂ બની હતી. વાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન સીધી BRTS કોરિડોરની લોખંડની રેલિંગ સાથે જોરદાર રીતે અથડાઈ હતી.અકસ્માત સમયે વાનમાં કુલ 10 વિદ્યાર્થીઓ સવાર હતા.
અકસ્માત થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને વાનમાંથી બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.રાહતની વાત એ છે કે આ ગંભીર અકસ્માતમાં કોઈ પણ વિદ્યાર્થીને નાની-મોટી ઈજા પહોંચી નથી. તમામ બાળકો સુરક્ષિત હોવાથી વાલીઓ અને શાળા પ્રશાસને હાશકારો અનુભવ્યો છે.
જોકે નવા વાડજ અને ખોડિયાર નગર વિસ્તારમાં અકસ્માતની બંને ઘટનામાં વધુ કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ અકસ્માત સ્પીડને કારણે થયો હતો કે કેમ.


