અમદાવાદ : હોળીના પવિત્ર તહેવારને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ છે, પરંતુ હોળી પ્રગટાવવાની પરંપરામાં થતી કેટલીક અયોગ્ય પ્રવૃત્તિઓ શહેરના રસ્તાઓને ભારે નુકસાન પહોંચાડી રહી છે. સામાન્ય રીતે નાગરિકો રસ્તા વચ્ચે ખાડા ખોદીને અથવા સીધા ડામરના રસ્તા પર હોળી પ્રગટાવે છે, જેના કારણે રસ્તાની સપાટીને મોટું નુકસાન થાય છે. ખાડા પાડવાથી ડામરના ભાગમાં પોલાણ સર્જાય છે અને ચોમાસાની ઋતુ દરમિયાન તેમાં વરસાદનું પાણી ઉતરવાની શક્યતા વધી જાય છે. પરિણામે રસ્તાની નીચેની સરફેસ નબળી પડે છે અને અનેક સ્થળોએ રસ્તા બેસી જવા અથવા તૂટવાની સમસ્યા ઉભી થાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ મુદ્દે નાગરિકોને મહત્વપૂર્ણ અનુરોધ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના જણાવ્યા મુજબ, હોળી રસ્તાની વચ્ચે પ્રગટાવવાને બદલે રસ્તાની એક બાજુ ઇંટો અથવા પેવર બ્લોક ગોઠવી તેના ઉપર રેતી પાથરીને હોળી પ્રગટાવવી જોઈએ. આ રીતે રસ્તાને થતું નુકસાન અટકાવી શકાય અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય.
સામાન્ય રીતે લોકો જાહેર રસ્તાઓના જંકશન પર, સોસાયટીઓના આંતરિક રોડ અને માર્ગો પર સીધા ડામર રોડ પર લાકડાં છાણા વગેરે એકઠા કરીને હોળી પ્રગટાવે છે. આમ કરવાથી હોળીની જ્વાળાઓની પ્રખર ગરમીથી રોડનો ડામર પીગળી જાય છે, અને રોગ ને નુકસાન થાય છે, તૂટી જાય છે .જેથી ફરી રિપેર કરવા ખર્ચ કરવો પડે છે, અને રોડ તૂટી જવાથી લોકોને પણ તકલીફ પડે છે.
આ ઉપરાંત, AMCએ નાગરિકોને ઝાડની નીચે તેમજ ઇલેક્ટ્રિક અને અન્ય કેબલની ઓવરહેડ લાઈનોની નીચે હોળી ન પ્રગટાવવાની સૂચના આપી છે. ઝાડની નીચે હોળી પ્રગટાવવાથી વૃક્ષો અને તેમાં વસતા પક્ષીઓને નુકસાન થવાની શક્યતા રહે છે, જ્યારે ઓવરહેડ લાઈનની નજીક આગ લગાવવાથી વીજળી સંબંધિત અકસ્માતો અને ગંભીર નુકસાન થવાનો ખતરો રહે છે.
કોર્પોરેશને નાગરિકોને તેમના વિસ્તારની વોર્ડ ઓફિસનો સંપર્ક કરીને યોગ્ય સ્થળ અને વ્યવસ્થા અંગે માર્ગદર્શન લેવા પણ અપીલ કરી છે. હોળીનો તહેવાર આનંદ અને ભાઈચારોનું પ્રતિક છે, પરંતુ સાથે સાથે જાહેર સંપત્તિ અને પર્યાવરણનું રક્ષણ કરવું પણ દરેક નાગરિકની જવાબદારી છે.


