અમદાવાદ : અમદાવાદમાં 2030 માં યોજાનાર કોમનવેલ્થ સુધીમાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે અને શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ઘટાડવા માટે હવે લક્ઝરી બસો અને એસટી (GSRTC)ની બસોને શહેરની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે. આ બસો હવે માત્ર એસજી હાઈવે અને એસપી રિંગ રોડ સુધી જ આવશે. ત્યાંથી મુસાફરોને AMTS, BRTS અને મેટ્રો જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવો પડશે.
અમદાવાદમાં જાહેર એક્ઝિબિશન ‘AmdavadNXT’ના ઉદ્ઘાટન પ્રસંગમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી અને અસારવાના ભાજપ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, આગામી વર્ષ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ યોજાવાની છે, ત્યારે મહત્વનો પ્રોજેક્ટ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને કરી રહી છે. શહેરમાં જાહેર પરિવહનની AMTS, BRTS અને મેટ્રો દોડી રહી છે.
લોકો વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે માટે અપીલ કરવામાં આવી છે. શહેરમાં વસ્તી દિવસે દિવસે વધી રહી છે. એક જ ઘરમાં ચાર લોકો અને ચાર વાહનો હોય તો ટ્રાફિક સમસ્યા વધે છે. જો લોકો ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહન અપનાવે તો ટ્રાફિકમાં મોટો ઘટાડો શક્ય છે. અમદાવાદ મેટ્રો સિટી તરીકે વિકસી રહ્યું છે, તેથી અન્ય મહાનગરોની જેમ આયોજનબદ્ધ પરિવહન વ્યવસ્થા જરૂરી બની છે.આ આયોજનથી શહેરના મુખ્ય રસ્તાઓ પર ભારે વાહનોની અવરજવર ઘટશે અને ટ્રાફિક હળવો બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
જાહેર પરિવહન અંગે જાગૃતિ લાવવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવરફ્રન્ટ હાઉસમાં 21થી 23 ફેબ્રુઆરી સુધી સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી એક્ઝિબિશન યોજાયું છે. આ કાર્યક્રમ તમામ નાગરિકો માટે ખુલ્લો રહેશે. આ પહેલનો હેતુ શહેરમાં સર્વસમાવેશક, જલવાયુ-સહનક્ષમ અને લોકો કેન્દ્રિત મોબિલિટી અંગે ચર્ચા કરવાનું છે.
2023 અને 2030માં આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલોત્સવોને ધ્યાનમાં રાખીને શહેરના રોડ, ફૂટપાથ અને અન્ય સુવિધાઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. વિદેશી પ્રતિનિધિઓ અમદાવાદ આવે ત્યારે શહેરની સકારાત્મક છબી ઉભી થાય તે માટે સરકાર અને AMC દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે.


