અમદાવાદ : AMCના ફૂડ વિભાગ દ્વારા તા. 1 ફેબ્રુઆરી 2026થી 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન શહેરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાન દરમિયાન કુલ 495 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં દૂધ અને દૂધની બનાવટોના 110, બેકરી પ્રોડક્ટ્સના 9, મીઠાઈના 16, નમકીનના 32, અનાજ-લોટના 45, ખાદ્યતેલના 35 અને મસાલાના 42 નમૂનાઓનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાંથી પનીરના નમુના લીધાં હતા. 10 જેટલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં વેજીટેબલ અને પામ ઓઇલમાંથી બનેલા પનીરનો ઉપયોગ થતો હતો તેમજ ઓછા મિલ્ક ફેટના પનીરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ફૂડ વિભાગ દ્વારા 10 હોટલ એન્ડ રેસ્ટોરન્ટને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો છે. સબ સ્ટાન્ડર્ડ આવેલા પનીર અમદાવાદની ત્રણ જગ્યાએથી ખરીદવામાં આવ્યા હોવાનું સામે આવતા ફૂડ વિભાગ દ્વારા ત્રણેય જગ્યાએ દરોડા પાડીને પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. સંબંધિત એકમોને નોટિસ આપી રૂ. 7,000થી 20,000 સુધીની પેનલ્ટી વસૂલવામાં આવી છે.
ફૂડ વિભાગની ટીમ દ્વારા આ ત્રણે જગ્યાઓ ઉપર દરોડા પાડી 173 કિલો જેટલું પનીર જપ્ત કર્યું હતું. બાકીના સાત જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં અમદાવાદ શહેરના બહારના વિસ્તારમાંથી પનીર લાવવામાં આવ્યું હતું જેથી જે તે જિલ્લાના ફૂડ અધિકારીને પત્ર લખી આ બાબતે જાણ કરવામાં આવી છે. દરેક હોટલ અને રેસ્ટોરન્ટને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
1 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધીમાં દૂધ- દૂધની બનાવટ, બેકરી, નમકીન, મીઠાઈ, ખાદ્ય તેલ સહિતના અલગ અલગ 495 જેટલા નમુના લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. 1083 જગ્યા ઉપર તપાસ કરી 492 નોટિસ આપવામાં આવી છે. 823 કિલો અને 878 લીટર અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. 6.72 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલાયો છે.


