અમદાવાદ : અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી બકેરી સિટીમાં મોડી રાત્રે ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં પિતા અને પુત્ર સહિત 3 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. આ ઘટના રાતે 3:45 વાગ્યે બકેરી સીટી વિસ્તારમાં થઇ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં પિતા અને પુત્રમાં આગમાં દાઝી જવાના કારણે મોત થયા છે. જ્યારે માતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વેજલપુરમાં બકેરી સિટીમાં આવેલી કૃષ્ણ નગરી સોસાયટીના મકાન નંબર 4માં જ્યારે આખો પરિવાર વહેલી સવારે ગાઢ નિદ્રામાં હતો,ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ મિનિટોમાં આગની જ્વાળાઓએ આખા ઘરને લપેટમાં લઈ લીધું હતું. ઘરમાં હાજર સભ્યો કંઈ સમજે તે પહેલાં જ ધુમાડાના ગોટેગોટા અને આગની લપેટમાં આવી જતાં લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો આગ લાગવાની જાણ થતા જ ફાયર વિભાગની ચાર ગાડીઓ આગ પર ભારે જહેમતે કાબુ મેળવવામાં સફળ રહી હતી.
આગમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ પિતા- પુત્ર ધ્રુવ ગોહિલ (ઉંમર 38 વર્ષ) અને શાશ્વત ગોહિલ (ઉંમર 9 વર્ષ) હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ બંનેનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યુ છે.મિત્તલ ગોહિલ નામના એક વ્યક્તિને વધુ દાઝ લાગવાના કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. હાલ તેમની હાલત ગંભીર છે અને ડોક્ટરો દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.


