અમદાવાદ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 7 માર્ચની સાંજે અમદાવાદ આવી પહોંચશે. આ પ્રવાસ ખાસ એટલા માટે છે કારણ કે 9 માર્ચે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની વર્તમાન ટર્મ પૂર્ણ થઈ રહી છે. ટર્મ પૂરી થાય તે પહેલાં, 8 માર્ચે અમિત શાહ શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકો માટે અત્યંત મહત્વના એવા બે મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 7 માર્ચના રોજ સાંજે અમદાવાદ આવી પહોંચશે. 8 માર્ચના રોજ અમિત શાહના હસ્તે અનેક મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં મુખ્ય આકર્ષણ વસ્ત્રાલ ખાતેનું નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. આશરે રૂ. 60 કરોડથી વધુના ખર્ચે આ અત્યાધુનિક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-1નું પણ ગૃહમંત્રી લોકાર્પણ કરશે. નરોડાથી વિંઝોલ સુધીના 12 કિલોમીટર લાંબા રૂટ પર પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુ કોર્પોરેશનની ટર્મ 9 માર્ચે પૂર્ણ થઈ રહી છે, તે પૂર્વે કેન્દ્રીય મંત્રી દ્વારા આ લોકાર્પણ કાર્યક્રમો યોજીને શાસક પક્ષ વિકાસના કામોનો સીધો લાભ જનતા સુધી પહોંચાડવા માંગે છે. પૂર્વ અમદાવાદમાં ખારીકટ કેનાલ અને વસ્ત્રાલના પ્રોજેક્ટ્સ લાંબા સમયથી ચર્ચામાં હતા, જેનું હવે વિધિવત રીતે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ અન્ય સંગઠનાત્મક બેઠકો અથવા સ્થાનિક કાર્યક્રમોમાં પણ હાજરી આપી શકે છે. સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે અત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.


