અમદાવાદ : અમદાવાદ શહેરમાં 7 સ્થળોએ આઈકોનિક રોડ બનાવવાની જાહેરાત બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સૌથી વ્યસ્ત ગણાતાં એવા નરોડા-નારોલ હાઇવેને 13.70 કિલોમીટર લાંબા રોડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 250 કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવશે.જેમાં રાહદારીઓ માટે ફૂટપાથ, અન્ડર પાસ, ટ્રાફિક સાઈનેજીસ સહિત વગેરેની સુવિધાઓ સાથે ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે મુખ્ય કેરેજ વે પણ બનાવવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ બ્યુટિફિકેશન અને રોડને ડેવલપમેન્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે. એરપોર્ટ સર્કલથી લઈને ડફનાળા સુધીનો આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરોડા પાટિયાથી નારોલ સર્કલ સુધીના રોડને ડેવલોપ કરવામાં આવશે.
રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા નારોલ સર્કલથી નરોડા પાટિયા સુધીનો કુલ 13.70 કિલોમીટર લંબાઈનો માર્ગ રૂ. 250 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. આ માર્ગની કુલ પહોળાઈ 60 મીટર રહેશે. જેના કારણે વાહનવ્યવહાર વધુ સુગમ અને સુરક્ષિત બનશે. મુખ્ય કેરેજ વે હાલની 10.50 મીટર પહોળાઈ મુજબ બંને બાજુ વિકસાવવામાં આવશે. ઉપરાંત, 10.50 મીટર પહોળાઈનો સર્વિસ રોડ પણ બનાવાશે, જેથી સ્થાનિક ટ્રાફિકને અલગ સુવિધા મળી રહેશે.
નાગરિકોની સુવિધા માટે માર્ગની બંને બાજુ 2 મીટર પહોળા ફૂટપાથ બનાવાશે, જેથી પદયાત્રીઓને સુરક્ષિત રીતે ચાલવાની સગવડ મળશે. સાથે સાથે નાગરિકોને બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મુખ્ય કેરેજ વે અને સર્વિસ રોડ વચ્ચે 1 મીટર પહોળાઈનું નવું મીડિયન તૈયાર કરવામાં આવશે. પ્રોજેક્ટમાં મલ્ટી યુટિલિટી ઝોનમાં પ્લાન્ટેશન, સાઇનેજ સુવિધા, વૃક્ષારોપણ અને લેન્ડસ્કેપિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પેડેસ્ટ્રિયન ક્રોસિંગ પર રેફ્યુજ આઇલેન્ડ્સ બનાવાશે, જેથી રસ્તો પાર કરવો વધુ સુરક્ષિત બનશે. યુટિલિટી માટે અંડરગ્રાઉન્ડ રોડ ક્રોસિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે. નારોલથી નરોડા પાટિયા સુધીનો માર્ગ શહેરના મુખ્ય કનેક્ટિવિટી કોરિડોર તરીકે ઉભરાશે અને પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે. આ પ્રોજેક્ટ પૂર્વ વિસ્તારના નાગરિકો માટે મહત્વનો બની રહેશે. એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ સુધી આઇકોનિક રોડ જેમ ડેવલપ કરવામાં આવશે.


