અમદાવાદ : અમદાવાદમાંથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ધુળેટીના પવિત્ર તહેવાર બાદ એક કરૂણ ઘટના બની છે.શહેરના કુબેરનગર વિસ્તારના ચાર યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. આજે 4 માર્ચના રોજ ધૂળેટીનો તહેવાર હોવાથી ચારેય યુવકો નદીમાં નાહવા માટે પડ્યા હતા, ત્યારે તેઓ ડૂબી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળ ઉપર દોડી ગઈ હતી.ફાયર વિભાગ દ્વારા ચારેયના મૃતદેહ બહાર કઢાયા છે અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના કોતરપુર વોટર વર્કસ પાછળથી સાબરમતી નદી પસાર થાય છે. આજે ધુળેટીનો તહેવાર હોવાના કારણે કુબેરનગર વિસ્તારમાં રહેતા સાહિલ, પિયુષ, દુર્ગેશ અને સન્ની નામના મિત્રો સાબરમતી નદીમાં નાહવા માટે ગયા હતા. કોતરપુર વોટર વર્કસ પાછળ નદીમાં નાહવા માટે તેઓ પડ્યા હતા, ત્યારે અચાનક જ ડૂબવા લાગ્યા હતા. ત્યાંથી પસાર થતા એક વ્યક્તિ દ્વારા ત્રણ યુવકો ડૂબતા હોવાનું જોઈને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા નદીમાં શોધખોળ હાથ કરવામાં આવી હતી જેમાં ત્રણની જગ્યાએ ચાર જેટલા યુવકો મળી આવ્યા હતા. ચારેય યુવકોના નદીમાં ડૂબી જવાથી મોત થયા હતા. 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી. જેમણે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી.
ધૂળેટીના પવિત્ર તહેવાર પર ગુજરાતમાં પાંચ અલગ-અલગ ડૂબવાની ઘટનાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, અમરેલી અને સુરતમાં બનેલી આ કરુણ દુર્ઘટનાઓમાં 5 બાળકો સહિત કુલ 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે હોળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે.


