અમદાવાદ : શહેરોમાં પ્રવાસન વધારવા માટે તેને આકર્ષણનું કેન્દ્ર બનાવી રહી છે. આ શ્રેણીમાં અમદાવાદ શહેરને નવો લુક આપવા જઈ રહી છે. ફ્લાવર શોની સફળતા બાદ હવે અમદાવાદને એક નવી ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદ શહેરમાં 80 કરોડના ખર્ચે ભવ્ય લોટસ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે.આ બગીચો કમળ આકારનો હશે. જેમાં ભારતના અલગ અલગ રાજ્યોના ફૂલ ખીલશે. ઉપરાંત ફ્લાવર મ્યુઝિયમ અને ગ્લો ગાર્ડન પણ બનાવાશે. શહેરમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો બગીચો બનશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ ગત 6 ફેબ્રુઆરી 2024ના રોજ મંજૂર કરાયેલા 2024-25ના બજેટમાં એસ.જી.હાઈવે પર બગીચા માટે 20 કરોડની ફાળવણી કરી હતી. તેને લોટ્સ પાર્ક અથવા ગારલેન્ડ ઓફ ઈન્ડિયા નામ આપવાનું નક્કી થયું હતું. તેની સંકલ્પના એવી હતી કે કમળના આકારના આ બગીચામાં ભારતના દરેક રાજ્યના રાજ્ય ફૂલોને પ્રદર્શિત કરવામાં આવશે. જે બાદ 2025-26ના બજેટમાં વધારાના 20 કરોડ ફાળવવામાં આવ્યા હતા. ત્યારથી આ પ્રોજેક્ટનું સ્થળ બદલાયું છે અને ખર્ચ વણ વધીને 120 કરોડ થઈ ગયો છે, જે મૂળ કલ્પના કરતા છ ગણો વધારે છે.આ બગીચો અગાઉ જાહેર કર્યા મુજબ એસ જી હાઈવે પર નહીં પરંતુ શેલામાં કલબ o7 રોડ પર બનાવાશે.
આ લોટસ પાર્કની વિશેષતા એ હશે કે 37 હજાર ચોરસ મીટરની જગ્યામાં દેશના તમામ રાજ્યોના ફૂલો એક જગ્યાએ જોવા મળશે. પ્રોજેક્ટનો આકાર કમળ જેવો છે. દરેક પાંખડી દેશના જુદા જુદા રાજ્યના ફૂલોનું પ્રતિનિધિત્વ કરશે. દેશના તમામ રાજ્યોની પાંખડીઓ ટેબલેટ સ્વરૂપે એક જગ્યાએ પ્રદર્શિત થશે.આ ભારતનો પ્રથમ અને સૌથી મોટો કમળ આકારનો ઉદ્યાન હશે. આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી થીમ પર વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ, જાહેર સુવિધાઓ અને પાર્કિંગની વ્યવસ્થા સાથે તૈયાર થશે. જે દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ હશે. આ દરેક પાંખડીને ટેબ્લેટ ટેકનોલોજી દ્વારા નિયંત્રિત કરી શકાય છે.
લોટ્સ પાર્ક પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ:
આ બગીચો શેલામાં ધાતલા તલાવડી પાસે 37,033 ચોરસ મીટર જમીન પર બનશે.
તેમાં ક્લબ O7 રોડથી 30 મીટરનો પ્રવેશદ્વાર હશે.
પ્લોટના 40% ભાગમાં એસેમ્બલી જેવું માળખું હશે, જેની મહત્તમ ઊંચાઈ 45 મીટર હશે.
બગીચાની અંદર ફ્લાવર મ્યુઝિયમ, સ્પા, સોવેનિયર શોપ, મલ્ટીમીડિયા થિયેટર અને બેસવા માટે ખુલ્લી જગ્યાઓ હશે.
મુલાકાતીઓ પાસેથી એન્ટ્રી ફી લેવામાં આવશે.
બાજુના પ્લોટમાં ‘ગ્લો ગાર્ડન’ બનાવવાનું પણ આયોજન છે.
આ પ્રોજેક્ટ જે પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામાન્ય રીતે વિવિધ પ્રોજેક્ટ્સ માટે 5 વર્ષની મુદત માટે આર્કિટેક્ટ્સની પેનલ રાખે છે, પરંતુ આ પ્રોજેક્ટ માટે પેનલની બહારના જ એક કન્સલ્ટન્ટની નિમણૂક કોઈ પણ સત્તાવાર ટેન્ડર પ્રક્રિયા વગર કરવામાં આવી હતી. વધુમાં, પેનલના આર્કિટેક્ટ્સ ઓછા દરે ઉપલબ્ધ હોવા છતાં, આ કન્સલ્ટન્ટને વધુ ફી પર રાખવામાં આવ્યા છે.


